અંકલેશ્વર : પેટ્રોલ પંપના સંચાલકોએ કમિશન વધારવાની માંગ સાથે "નો પરચેઝ ડે" ઉજવ્યો
એક દિવસ માટે પેટ્રોલ-ડીઝલ અને સીએનજીની ખરીદી રાજ્યભરમાં પેટ્રોલ પંપના સંચાલકોએ કરી ન હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલ વિવિધ પેટ્રોલ પંપના સંચાલકોએ કમિશન વધારાની માંગ સાથે આજરોજ પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના જથ્થાની ખરીદી કરવાથી અળગા રહ્યા હતા. વર્ષ 2017માં ઓઇલ કંપનીઓ અને સરકારે ડિલરોનું કમિશન નહીં વધાર્યું હોવાના સુર સાથે સોમવારના રોજ અંકલેશ્વરમાં આવેલ વિવિધ પેટ્રોલ પંપના માલિકોએ "નો પરચેઝ" દિવસ ઉજવ્યો હતો. એટલે કે, એક દિવસ માટે પેટ્રોલ-ડીઝલ અને સીએનજીની ખરીદી રાજ્યભરમાં પેટ્રોલ પંપના સંચાલકોએ કરી ન હતી.
વધુમાં હાલ ડીઝલની ભરૂચ જિલ્લામાં પણ ખેંચ જોવા મળી રહી છે. જે પાછળ ડિલરોએ જણાવ્યું હતું કે, કંપનીઓને ડીઝલની પરચેઝ ઊંચી કિંમતે થઈ રહી છે. જોકે, ડિલરો અને પેટ્રોલ પમ્પોને ખરીદી કરતા નીચા ભાવે વેચાણ કરવાની ફરજ પડી રહી છે. આ સ્થતિમાં પૂરતો ડિઝલનો જથ્થો પેટ્રોલ પમ્પો ઉપર પૂરો પાડવામાં આવી રહ્યો નથી, ત્યારે ભરૂચમાં પણ ડીઝલ ખૂટી જવા કે, સ્ટોક નહીં હોવાની સ્થિતિ સર્જાઈ રહી છે.