ભરૂચ: શહેરના હાથીખાના વિસ્તારમાં લાગ્યા મંદિર વેચવાનું છેના બેનર, જુઓ શું છે કારણ
ભરૂચ શહેરમાં આશ્ચર્યજનક બેનર જોવા મળી રહ્યા છે. ભરૂચના હાથીખાના વિસ્તારમાં મંદિર વેચવાનું છેના બેનર લાગ્યા છે. આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતા તેનો અમલ કરવામાં ન આવતા સ્થાનિકોએ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે
સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓના અમુક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવામાં આવે છે॰ જે વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે ત્યાંની મિલકત વેચાણ પર નિયંત્રણ આવી જાય છે. કલેકટરની જાણ બહાર મિલકત ટ્રાન્સફર થઈ હોય તો તેમાં કલેકટર પોતાની રીતે તપાસ કરી મિલકત ટ્રાન્સફર પર રોક મુકી, તેના અસલ માલિકને સત્તા અપાવી શકે છે. આ કાયદો જ્યાં બે કોમો વચ્ચે તણાવ સર્જાતા હોઈ અને મિલકત ખરીદી-વેચાણને લઈને કોઈ કોમનું વર્ચસ્વ વધવા લાગે ત્યારે આ ધારો લાગુ કરવામાં આવતો હોઈ છે ત્યારે ભરૂચના પણ 40થી વધુ વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે જે પૈકી હાથીખાના બજાર વિસ્તારમાં લાગુ કરાયેલ અશાંતધારાનો અમલ ન થતો હોવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતા મિલકત વિધર્મીઓને વેચી દેવામાં આવે છે આથી તેઓએ પોતાના મકાન અને ભગવાનના ઘર એવા મંદિર પર વેચવાનું છે ના બેનર લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ છે તો તેનો તંત્ર દ્વારા કડકાઇથી અમલ કરવવામાં આવે.