ભરૂચ : ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ. બેન્ક દ્વારા અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું નિર્માણ કરાશે...
૧૯૯૮માં અરૂણસિંહ રણાએ ચેરમેન તરીકે હોદ્દો સંભાળ્યા બાદ બેન્કના વિકાસને વેગ મળ્યો હતો. છેલ્લા ૨૨ વર્ષમાં બેન્ક સફળતાના શિખરો સર કરી આજે સહકારી ક્ષેત્રની સફળ બેન્કોમાં નામના પ્રાપ્ત કરી છે.
ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકના કર્મચારીઓ,ગ્રાહકો તેમજ ભરૂચ અને નર્મદા જીલ્લાની સહકારી મંડળીઓના કમિટિ સભ્યો, સભાસદો અને કર્મચારીઓને સહકારી ક્ષેત્રને લગતુ શિક્ષણ અને તાલીમ મળી રહે તે માટે ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેન્ક દ્વારા અદ્યતન સહકારી શિક્ષણ ભવન ઉભુ કરાશે. જેનુ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત દુધધારા ડેરી ખાતે આયોજીત સહકાર સંમલેનમાં ભારત સરકાર ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહ કરશે.
આ અવસરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગુજરાત સરકારના સહહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિતિ રહેશે, તેમ ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેન્કના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ બેન્ક દ્વારા આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતું.
ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેન્કના સભાખંડમાં આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં બેન્કના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ એ.રણાએ જણાવ્યુ હતુ કે, ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેન્ક ૧૧૫ વર્ષ પુર્ણ કર્યા છે. બેન્કની ભરૂચ અને નર્મદા જીલ્લામાં ૪૯ જેટલી શાખાઓ છે. જેમાં ૧૯ શાખાઓ બેન્કની માલિકીના મકાનમાં ચાલે છે. બેન્ક આજે નવી ટેકનોલોજીથી સુસજ્જ છે. બદલાતા સમયની સાથે સહકારના નિયમો અને ટેકનોલોજીમાં બદલાવ આવે છે.
આવા સંજોગોમાં બેન્કના કર્મચારીઓ, ગ્રાહકો અને બેન્ક સાથે જોડાયેલ સહકારી મંડળીઓના કમિટિ સભ્યો, સભાસદો, હોદ્રેદારો અને કર્મચારીઓને તેનુ શિક્ષણ મળે તે જરૂરી છે. જેના ધ્યાનમાં લઈ બેન્ક દ્વારા અદ્યતન સહકારી શિક્ષણ ભવન ઉભુ કરવાની યોજના બનાવી છે. જેનુ ત્રીજી જુનના રોજ ભારત સરકારના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહુર્ત થશે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ મનસુખ વસાવા, વિધાનસભાના ના.મુ. દંડક દુષ્યંત પટેલ અને ધારાસભ્ય ઈશ્વર પટેલ ઉપસ્થિત રહેનાર છે.
ઉલ્લેખનીય છે કે, ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેન્ક પહેલા ખોટના ખાડે જતી હતી. વર્ષ ૧૯૯૮માં અરૂણસિંહ રણાએ ચેરમેન તરીકે હોદ્દો સંભાળ્યા બાદ બેન્કના વિકાસને વેગ મળ્યો હતો. છેલ્લા ૨૨ વર્ષમાં બેન્ક સફળતાના શિખરો સર કરી આજે સહકારી ક્ષેત્રની સફળ બેન્કોમાં નામના પ્રાપ્ત કરી છે. તેમાં પણ ''સહકાર શિક્ષણ ભવન" ઉભુ થતા માત્ર બેન્ક જ નહીં જીલ્લાના સહકારી ક્ષેત્રને વેગ મળવાનો છે.