ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ C.R.પાટીલના કાર્યકાળને 2 વર્ષ પૂર્ણ, પૃથ્વીની ત્રણ વખત પ્રદીક્ષણા થાય એટલો પ્રવાસ બે વર્ષમાં કર્યો હોવાનો દાવો
ગુજરાત ભાજપના 13માં પ્રદેશ અધ્યક્ષ તરીકે સી. આર. પાટીલની નિમણૂક 20 જુલાઈ 2020ના રોજ કરવામાં આવી હતી.
ગુજરાત ભાજપના 13માં પ્રદેશ અધ્યક્ષ તરીકે સી. આર. પાટીલની નિમણૂક 20 જુલાઈ 2020ના રોજ કરવામાં આવી હતી. સી આર પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ અનેક ઐતિહાસિક નિર્ણયો અને જીત ભાજપે મેળવી છે.આજે બે વર્ષ તેમના કાર્યકાળ પૂર્ણ થયા છે
જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગુજરાત રહ્યો છે. એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના રાજકારણમાં અનેક નવા પ્રયોગ કરતી હોય છે. 20 જુલાઈ 2020ના રોજ ભારતીય જનતા પાર્ટીના 13માં પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલની નિમણુંક કરી સ્પષ્ટ સંદેશ આપ્યો કે, પાર્ટીને વફાદાર અને મજબૂત કાર્યકરને પાર્ટી ગમે ત્યારે મોટા હોદ્દા પર બેસાડી શકે છે. વર્ષ 1980માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ સી.આર. પાટીલને પાર્ટીએ વર્ષ 1995થી 1997 અને વર્ષે 1998 થી 2000 સુધીના સમયમાં જીઆઇડીસીના ચેરમેન બનાવ્યા હતા. ત્યાર બાદ વર્ષ 2009માં સી.આર. પાટીલ નવસારી લોકસભાના સાંસદ બન્યા 2014 અને 2019માં પણ સાંસદ બન્યા વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મત લીડ મેળવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.20 જુલાઈ 2020 થી સી.આર. પાટીલ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા બાદ પાર્ટી એક નવી ઊંચાઈએ પહોંચાડવાનું કામ માત્ર એક વર્ષના સમયમાં કર્યું છે. તેમના એક વર્ષના સમયગાળાના મહત્વના નિર્ણયો અને ચૂંટણીની વાત કરવામાં આવે તો, 21 જુલાઈ 2020ના રોજ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે સત્તાવાર રીતે પદભાર સાંભળ્યા બાદ સી. આર પાટીલે સંગઠનને મજબૂત કરવા કામગીરી હાથ ધરી.28 જુલાઈ 2020ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલે પૃથ્વીની ત્રણ વખત પ્રદીક્ષણા થાય એટલો પ્રવાસ બે વર્ષમાં કર્યો છે. સી આર પાટીલનો આગ્રહ રહ્યો છે કે, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય એટલા માટે જ તેના અધ્યક્ષતામાં કેવડિયા ખાતે મળેલ ભાજપની પ્રથમ કારોબારીમાં તમામ સભ્યોને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. તો સુરત ખાતે મળેલ બીજી કારોબારીમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો સી આર પાટીલના "વન ડે વન ડિસ્ટ્રિક્ટ", "પેજ સમિતિ", "સહકારમાં પાર્ટી મેન્ડેટ" કે પછી ભાજપના તમામ કાર્યકરો દ્વારા પહેરવામાં આવનાર કેસરી ટોપી સહિતના નિર્ણયોની ચર્ચા ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં કરવામાં આવી હતી. ભાજપ આગામી દિવસોમાં આ તમામ કાર્યક્રમો એ રાષ્ટ્રીય કક્ષાએ ચાલુ કરવાની તૈયારી કરી રહ્યું છે