તમે રૂપિયા ઉપાડવા જાઓ અને ATM માં કેશ નહીં હોય તો બેંકને થશે દંડ; જાણો શું છે RBIનો નવો નિયમ
અનેકવાર ATM માં કેશ ન હોવાના કારણે લોકોએ પરેશાની ઉઠાવવી પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં લેતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે
અનેકવાર ATM માં કેશ ન હોવાના કારણે લોકોએ પરેશાની ઉઠાવવી પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં લેતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ જો ATM માં કેશ ન હોય તો બેંકે હવે તેનું પરિણામ ભોગવવાનો વારો આવશે.
એક ઓક્ટોબર 2021થી એક મહિનામાં કુલ 10 કલાકથી વધુ સમય સુધી બેંક ATM ખાલી રહેશે તો આરબીઆઈ બેંકો પર ચાર્જ લગાવવાનો શરૂ કરી દેશે. આરબીઆઈએ એક સર્ક્યૂલરમાં કહ્યું છે કે એટીએમમાં નિર્ધારિત સમય દરમિયાન કેશ ન ભરવા પર બેંક પર ફાઈન લગાવવામાં આવશે. RBI એ આ પગલું એટલા માટે ભર્યુ છે જેથી કરીને એટીએમ દ્વારા જનતા માટે પૂરતી કેશની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઈ શકે. RBI એ આ નિર્ણય કેશ આઉટના કારણે એટીએમના ડાઉનટાઈમની સમીક્ષા બાદ લીધો.
RBI ના જણાવ્યાં મુજબ જો કોઈ એટીએમ એક મહિનામાં 10 કલાકથી વધુ સમય સુધી કેશ વગર ખાલી હશે તો તેવી સ્થિતિમાં 10,000 રૂપિયા સુધીનો દંડ થશે. વ્હાઈટ લેબલ એટીએમની સ્થિતિમાં દંડ બેંકો પર લગાવવામાં આવશે. જો બેંક એટીએમમાં કેશ નાખવા માટે કોઈ કંપનીની સર્વિસ લેતી હશે તો પણ બેંકે જ દંડ ભરવો પડશે. બાદમાં બેંક ભલે તે વ્હાઈટ લેબલ એટીએમ કંપની પાસેથી દંડ વસૂલે.