Connect Gujarat
ધર્મ દર્શન 

દિવાસો એટલે સો દિવસના તહેવારની શરૂઆત - જાણો દિવાસાનુ શું છે મહત્વ

રાજા તારી સોડસો રોણી, પોણી ભરવા ગયતેલી રે, પોણી બોણી નો મળ્યુ ને પશુ પંખી તરસે મરતેલ રે'' દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમા ભગવાન શ્રીકૃષ્ણને સંબોધતુ આ ફટાણુ ગુંજવા લાગે છે.

દિવાસો એટલે સો દિવસના તહેવારની શરૂઆત - જાણો દિવાસાનુ શું છે મહત્વ
X

રાજા તારી સોડસો રોણી, પોણી ભરવા ગયતેલી રે, પોણી બોણી નો મળ્યુ ને પશુ પંખી તરસે મરતેલ રે'' દિવાસો આવતા જ આદિવાસી વિસ્તારોમા ભગવાન શ્રીકૃષ્ણને સંબોધતુ આ ફટાણુ ગુંજવા લાગે છે. દિવાસાના આગલા દિવસથી જ ઉજવણી ચાલુ થઇ જાય છે અને આ બે દિવસ દરમિયાન આદિવાસી ગામોમાં ઉત્સવનો માહોલ જોવા મળે છે. સાસરે ગયેલી દિકરીઓ માવતર આવે છે. પુર્વજોને યાદ કરાય છે. ખેતરમા નવા પાકની પુજા થાય છે અને ગામ આખુ ભેગુ થઇને ફટાણા ગાતા ગાતા દિવાસાની આગલી રાત જાગરણ કરીને દેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરે છે.

અષાઢમાં મેઘરાજાનુ આગમન થઇ ગયુ હોય છે. એટલે વાવણી પણ થઇ ગઇ હોય છે. એટલે દીવાસો આવતા સુધીમાં ખેતરમાં મકાઇ, તુવેરના પાકની કુંપણો ખેતરના પડને ચીરીને ડોકીયા કરતી હોય છે. એટલે વરસાદ સમયસર વરસતો રહે અને પાકનો ઉતારો સારો આવે તે માટે આદિવાસીઓમાં દિવાસાના દિવસે વિશેષ્ઠ અનુષ્ઠાનની પરંપરા છે. દિવાસાની આગલી રાતે ઉજાણી કરાય છે જેમાં ખેતરમા જઇને કુટુંબના દેવતા અને પુર્વજોનુ પુજન કરાય છે. અડદના વડા અને ઢેબરાનો પ્રસાદ પીરસવામા આવે છે. મરઘા, બકરાની બલી અપાય છે પછી ખેતરમા ઉગી નિકળેલા પાકનુ પણ પુજન કરાય છે. રાત્રે ગામ આખુ ભેગુ થાય છે. પરંપરા એવી છે કે લગ્ન કરીને ગયેલી ગામની દિકરી તેનો પહેલો દિવાસો ગામમા જ મા-બાપના ઘરે જ ઉજવે છે એટલે સાસરે ગયેલી ગામની દિકરીઓ આગલે દિવસે આવી ગઇ હોય છે. રાત્રે ગામ આખુ ભેગુ થાય છે. દિવાના અજવાળે ફટાણા ગવાય છે. ઢોલ ઢબુકે છે. દીવાસો ઉજવવા આવેલી દિકરીએ કુંટુંબીઓ તથા ગ્રામજનોને કોપરૃ, ગોળ, ચણાનો પ્રસાદ આપે છે. આખી રાત જાગરણ થાય છે.

બીજા દિવસે દિવાસાની ઉજવણી થાય છે ઘરે ઘરે લાડુ, શીરો, દાળ-ભાત અને પુરીનુ જમણ બને છે. દેવતાઓ અને પુર્વજોને નિવેધ ધરાવવામા આવે છે. દિવાસાના આખા દિવસ દરમિયાન આદિવાસી મહિલાઓ અને પુરૃષો ફટાણા ગાય છે. મોટા ભાગના ફટાણામા અપશબ્દનો ઉપયોગ ભરપુર થતો હોય છે. ભગવાન અને દેવતાઓને પણ ફટાણામ મન ખોલીને અપશબ્દોથી પોખવામા આવે છે. જો કે આદિવાસી સંસ્કૃતિ પર સંશોધન કરનારા અને માહિતી ખાતાના અધિકારી ભાવસિંહ રાઠવા કહે છે કે આદિવાસીઓ અપશબ્દોથી દેવતાઓનુ અપમાન નથી કરતા પણ વરસાદ વગર, પાણી વગર વેઠેલ વેદનાઓને વ્યક્ત કરવાની તેઓની પોતાની આ એક રીત છે.

Next Story