લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન.એકબીજાના બનવાનું એકબીજાને સાથ આપવાનું એક દીર્ઘ વચન.
વરઘોડોઃવરઘોડો એટલે ઈન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ પગથીયુ. જે તમારે ધ્યાન રાખવાનું.
પોંખણુઃ
હજી પણ આ રીત ચાલુ છે કે વરરાજા જ્યારે જાન લઈને કન્યાના આંગણે પરણવા માટે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોંખવામાં આવે છે. કન્યાની માતા જે વસ્તુથી વરરાજાને પોંખે છે તેને પોંખણું કહેવામાં આવે છે.
રવૈયોઃ
માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયાથી વલોવામાં આવે છે તેમ જીવનને પણ પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમનું દોહન કરવાનો સંદેશ રવૈયા દ્વારા આપવામાં આવે છે.
મુશળઃ
મુશળ અતિ વાસનાઓને મુશળ અર્થાત સાંબેલાથી ખાંડીને પ્રેમ પ્રગટાવવાનું કહે છે
તરાકઃ
લગ્ન જીવન રેંટિયા જેવું છે. પતિ અને પત્ની રૂપી બે ચક્રને પ્રેમની દોરી વડે આ તરાકને બંધાયેલા અને ફરતા રાખે તો જ સ્નેહરૂપી સુતર નીકળે તેમ કહેવાનો ભાવ તરાક દ્વારા આપવામાં આવ્યો છે. આ પ્રકારે જમાઈરાજાને પોંખવા આવનાર સાસુ વરને માયરામાં આવતા પહેલા સાવધાન કરે છે અને વર તેનો જવાબ સંપુટ તોડીને આપે છે.
સંપુટઃ
કન્યાના માતા દ્વારા વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે. આના દ્વારા વર કહેવા માંગે છે કે તમારી ચેતવણીને હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા અને અરમાનો પર હવે હું નહી ચાલું અહીંયા તેનો ભાંગીને ભુક્કો કરૂં છું, હવેથી અમારા બંન્નેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તેજ પ્રમાણે અમે બંન્ને પતી પત્ની અમારી જીવન યાત્રા કરીશું.
વરમાળા:
ફૂલના હારથી વરકન્યા એકબીજાને પહેરાવે છે ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયત્ન રહેલો છે.
હસ્તમેળાપઃ
હસ્તમેળાપ લગ્ન વિધિનું મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને બંન્નેના હૈયામાં એકબીજા પ્રત્યે આત્મીયતા પ્રગટે છે. તો આ સાથે જ જાનૈયા અને માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.
મંગળ ફેરાઃ
લગ્નના ચાર ફેરા દ્વારા ઋષીમુનીઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના ચાર ફેરા ધર્મ, અર્થ,કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના ચાર ફૈરા પૈકી ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે તેનું પણ અલૌકિક મહત્વ રહેલું છે. પહેલો ફેરો ધર્મનોઃબીજો ફેરો અર્થનોઃત્રીજો ફેરો કામનોઃ ચોથો ફેરો મોક્ષનોઃ
કન્યા વિદાયઃ
લગ્નની તમામ વિધી બાદ છેલ્લે એક કરૂણ પ્રસંગ આવે છે જેને કન્યા વિદાય કહેવાય છે. લગ્નની આખીય વિધિમાં છેલ્લે કન્યા વિદાયનું પણ એક વિધાન અને રીવાજ હોય છે એટલા માટે દિકરીના લગ્ને કરૂણ મંગલ પ્રસંગ કહેવાય છે. ફુલની જેમ સાચવીને જે દિકરીને મોટી કરી તે દિકરીની વિદાય કરવાની હોય એ ટાણે તો મર્દામર્દ પિતાની આંખમાં પણ આંસુ આવી જાય છે.