ભરૂચ : શુક્લતીર્થ ગામે પુર અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરાય...
પ્રાથમિક કુમાર શાળા-કન્યા શાળા અને કડોદ ગામના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવા કોઈપણ અસર ન પહોંચે તે માટે 400થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ગામે પુર અસરગ્રસ્ત વિદ્યાર્થી બાળકોને માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.નર્મદા નદીમાં આવેલા પૂરથી ભરૂચ જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ભરાય જવાના કારણે અનેક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના હાલ બેહાલ થઈ ગયા છે, જ્યારે અભ્યાસ કરતાં અનેક બાળકોના પાઠ્યપુસ્તકોથી લઈને નોટબુક પણ પુરના પાણીમાં તણાઈ ગયા હોવાથી બાળકોને ભણવા માટે મુશ્કેલીઓ ઉભી થઈ હતી.
આ સમયે ભરૂચ અને રાજ્ય સ્તરે પોતાની સેવાઓથી જાણીતી થયેલ ભરૂચના માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક અને ગરીબોની મદદ માટે હંમેશા તત્પર રહેતા સામાજિક કાર્યકર ધનજી પરમારના માર્ગદર્શન હેઠળ શુકલતીર્થમાં આવેલી પ્રાથમિક કુમાર શાળા-કન્યા શાળા અને કડોદ ગામના વિદ્યાર્થીઓનો અભ્યાસ કરવા કોઈપણ અસર ન પહોંચે તે માટે 400થી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકના એમડી અજયસિંહ રણા, શુકલતીર્થ ગામ પંચાયતના સરપંચ રણધીરસિંહ માંગરોલા, વણકર સમાજના પ્રમુખ કાંતિ પરમાર, કુમાર શાળા ગ્રૂપ આચાર્ય પ્રદીપસિંહ રણા, વાગરાના પત્રકાર કમલેશ પંચાલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકોએ હાજરી આપી બાળકોને કીટનું વિતરણ કરાયું હતું.