લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ વિભાગનો મહત્વનો નિર્ણય,દારૂની આદત છોડાવવા સરપંચની લેવાશે મદદ..
કેટલાક બુટલેગરોએ દારૂના ધંધા ને કાયમ માટે છોડીને અન્ય ધંધા રોજગાર કરવા માટે તૈયારી દર્શાવી છે..
રાજ્યના બોટાદ જિલ્લાના ધંધુકા- બરવાળા લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસે આરોપીઓ ઝડપવાની કામગીરી કરવાની સાથે બુટલેગર દારૂનો ધંધો છોડીને અન્ય રોજગાર ધંધામાં જોડાય તે માટે તેમજ દારૂની આદત માંથી લોકોને બહાર લાવી શકાય તે માટે વિવિધ એક્શન પ્લાન અમલમાં મૂકવાનું નક્કી કર્યું છે. જેમાં પોલીસ વિભાગ ગામના સરપંચની મદદ લેશે..
ધંધુકા અને બરવાળા લઠ્ઠાકાંડની ઘટનામાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં દેશી દારૂનું મોટા નેટવર્ક ઉપરાંત, ખૂબ મોટા પ્રમાણમાં લોકો દારૂના બંધાણી પણ મળી આવ્યા છે. જેથી ભવિષ્યમાં પણ ફરીથી લઠ્ઠાકાંડની ઘટના બની શકે તેવી શક્યતા વધી જાય છે. જે બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે આવનાર દિવસોમાં કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં કેટલાક બુટલેગરોએ દારૂના ધંધા ને કાયમ માટે છોડીને અન્ય ધંધા રોજગાર કરવા માટે તૈયારી દર્શાવી છે..
તેને લઈ સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત નવા ધંધા રોજગાર તાલીમ અને નાણાંકીય સહાય મળી શકશે. આ ઉપરાંત, દારૂના વ્યસનીઓ પણ દારૂ છોડે તે માટે પણ પોલીસ વિભાગે આયોજન કર્યા છે. જેમાં દારૂ છોડવા માટે કાઉન્સીલીંગ મળી શકશે. આ માટે પોલીસ ગામના સરપંચ અને સ્થાનિક અગ્રણીઓની મદદ લેશે. જેમાં ગામના સરપંચ ગામમાં રહેતા દારૂના બંધાણીઓને વિશ્વાસમાં લઈને તેમને સારવાર કરાવશે તેમજ કાઉન્સીલીંગ કરાવશે. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂના દુષણ દુર કરવા માટે અડ્ડાઓ બંધ થાય તે માટે દારૂના ધંધા બંધ રહે તે માટે પણ પોલીસને બાતમી આપીને બુટલેગરોને દારૂના ધંધા ને બદલે અન્ય રોજગાર ધંધામાં જોડાવા માટે પ્રયત્ન કરશે.