Connect Gujarat
ગુજરાત

ભાવનગર : આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં પાલીતાણાના આદપુરની મહિલાઓનું આગવું પ્રદાન

ભાવનગર : આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં પાલીતાણાના આદપુરની મહિલાઓનું આગવું પ્રદાન
X

ભારતની મોટી વસતિને ધ્યાનમાં રાખીને સરકાર માટે જે મોટા પ્રશ્નો ઉભા થાય છે. તેમાં રોજગાર એક મહત્વનો મુદ્દો છે. ભારતના વૈવિધ્યને ધ્યાનમાં લઇને દરેકને ઘરઆંગણે રોજગારીના અવસર મળે તે જરૂરી છે. આ જરૂરીયાતને પારખીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશી વસ્તુઓ અપનાવવાં અને ભારતમાં વસ્તુઓ નિર્મિત કરીને ભારતને આત્મનિર્ભર બનાવવાં માટે હાકલ કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આત્મનિર્ભર ભારત દ્વારા આત્મનિર્ભર ગુજરાતની નેમ દોહરાવતાં રહ્યાં છે. તેને ભાવનગરની પાલીતાણાની મહિલાઓ વાસ્તવમાં ચરિતાર્થ કરી રહી છે. પાલીતાણાની આદપુરની મહિલાઓ પોતાના હુન્નર અને કલા કૌશલ્યની આવડતના જોરે આજે આત્મનિર્ભર બની છે અને વર્ષ રૂા. ૨૨ લાખનું ટર્નઓવર કરે છે. ભાવનગર જિલ્લાના આદપુર ગામે શેત્રુંજય યુવક મંડળ કાર્યરત છે. જે ગામની મહિલાઓને આગળ વધવાં માટે પ્રેરિત કરે છે. આદપુર ગામની મહિલાઓમાં કપડાં પર કલરથી ડિઝાઇન કરવાની કુશળતાને પારખીને કોરોના કાળમાં પ્રાયોગિક ધોરણે આ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે નાના પાયે શરૂ થયેલું આ કાર્ય વિશાળ કાર્ય બની ગયું છે. આ અંગે ગામની મહિલાઓ જણાવે છે કે, કોરોના કાળમાં કંઇ કામ હતું નહીં. આદપુર ગામમાં ખેતી કામએ એક જ વ્યવસાય હતો કે, જેના દ્વારા રોજગારી મળતી હતી. પરંતુ શેત્રુંજય યુવક મંડળ દ્વારા અમને આ અંગે જાણકારી આપવામાં આવી અને તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજે કપડાની થેલી, બટવાં પર કલરકામ કરીને ગામની ૧૦૦ મહિલાઓ દરરોજ ૪૦૦થી ૫૦૦ રૂપિયા ઘર બેઠાં કમાય છે. આ મહિલાઓમાં નાની દિકરીઓથી માંડીને મોટી ઉંમરની મહિલાઓ પણ હોશેંહોશે કાર્ય કરીને પોતાની કલાને આ કાપડ પર ઉતારી રહી છે. આ સાથે કાપડની કલાને કારણે પ્લાસ્ટિકનો વપરાશ ઘટશે. જેથી દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને પણ વેગ મળશે.

Next Story