Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: કોરોનાની ત્રીજી લહેર પૂર્વે સરકારે RT-PCR ટેસ્ટ અને CT સ્કેનના ભાવમાં કર્યો ઘટાડો

ગાંધીનગર: કોરોનાની ત્રીજી લહેર પૂર્વે સરકારે RT-PCR ટેસ્ટ અને CT સ્કેનના ભાવમાં કર્યો ઘટાડો
X

આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. કોરોનાની બીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઈ હતી. ત્યારે હવે ત્રીજી લહેરની સંભાવના વચ્ચે સરકાર સજાગ થઈ ગઈ છે. એ ઉપરાંત ત્રીજી લહેરની સાવચેતી માટે સરકારે આગોતરા આયોજન કરવાનાં શરૂ કરી દીધાં છે.

આજે કેબિનેટની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિનદયાળ ક્લિનિક સહિત અનેક મોટી જાહેરાતો કરી હતી. નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે હવેથી ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવવો હોય તો એનો દર ઘટાડવામાં આવ્યો છે. કિટની કિંમતોમાં ઘટાડો થયો છે. હવે ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટનો ચાર્જ રૂ.700માંથી ઘટાડીને 400 રૂપિયા કરવામાં આવ્યો છે. દર્દીઓના ઘરેથી ટેસ્ટ સેમ્પલ લઈને ટેસ્ટ કરવાનો ચાર્જ 900 રૂપિયા હતો, એમાં ઘટાડો કરીને હવે 550 રૂપિયા કરવામાં આવ્યો છે.

એરપોર્ટ પર જો ટેસ્ટ કરાવવાની જરૂર હોય એનો અત્યારસુધીનો ચાર્જ 4 હજાર હતો, એ ઘટાડીને રૂ.2 હજાર 700 કરવામાં આવ્યો છે. બીજી લહેર વખતે HRCT ટેસ્ટનો ચાર્જ રૂ.3 હજાર હતો, જેમાં ઘટાડો કરી રૂ.2 હજાર 500 કરવામાં આવ્યો છે. જ્યાં સરકારી મશીનરી છે ત્યાં અને સરકારી હોસ્પિટલોમાં બધી જ જગ્યાએ આ ટેસ્ટ વિનામૂલ્યે થાય છે. તેમણે ઉમેર્યું હતું કે ત્રીજી લહેરમાં જિલ્લાકક્ષાની હોસ્પિટલ માટે નવાં 17 સીટી સ્કેન મશીન ખરીદાશે, જેની ટેન્ડરપ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની મેડિકલ કોલેજ, જિલ્લાકક્ષા હોસ્પિટલને 82.50 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે.

ગાંધીનગર, સોલા, વડોદરા ગોત્રી કોલેજમાં નવાં મશીનો ખરીદાશે, જેને કારણે ખાનગી લેબમાં ટેસ્ટ કરાવવા નહિ જવું પડે. માં અને માં વાત્સલ્ય યોજના હેઠળ વિનામૂલ્યે ટેસ્ટ કરી આપવામાં આવશે. રાજ્યમાં તમામ વિસ્તારને આવરી લઈ જિલ્લાકક્ષાએ સીટી સ્કેન MRIની સુવિદ્યા મળે એ માટે 112 કરોડનાં મશીન ખરીદવામાં આવશે.

Next Story