જામનગર : હજારેશ્વર મહાદેવ મંદિરે 1 હજાર શિવલિંગના દર્શન કરી ભક્તોએ અનુભવી ધન્યતા
શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવાલયોમાં ભક્તો ઉમટ્યા, હજારેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોએ કર્યા શિવજીના દર્શન.
છોટીકાશી જામનગરમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે શિવાલયોમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું, ત્યારે જામનગરના હજારેશ્વર મહાદેવ મંદિર ખાતે એક હજાર શિવલિંગના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
શ્રાવણી મહિનાનો અંતિમ સોમવાર હોય, ત્યારે છોટી કાશી જામનગરના અનેક શિવાલયોમાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. જામનગરના હવાઈ ચોક સ્થિત હજારેશ્વર મહાદેવ મંદિરનું ભક્તોમાં અનેરૂ મહત્વ રહેલું છે. હજારેશ્વર મહાદેવ મંદિર અંદાજે 250 વર્ષ જુનું મંદિર છે. શ્રી ચિંતાનંદ સ્વામીએ 12 વર્ષ તપ કરીને અહીં 1000 શિવલિંગની સ્થાપના કરી હતી. હજારેશ્વર મંદિરે ભગવાન મહાદેવની સાથે ગણપતિજી, હનુમાનજી અને કાળ ભૈરવજીનું મંદિર પણ આવેલું છે, ત્યારે હજારેશ્વર મંદિરે દરરોજ સવાર-સાંજ મહાઆરતી અને અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાય છે. પવિત્ર શ્રાવણ માસમાં દરરોજ હજારોની સંખ્યામાં શિવભક્તો ભગવાન મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.