ખેડા : જય માનવ સેવા ટ્રસ્ટની સેવાકિય કામગીરી, દંડકના હસ્તે એમ્બ્યુલન્સનું લોકાર્પણ

ખેડા જીલ્લામાં જય માનવ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જય માનવ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન અને નિઃશુલ્ક અંતિમ રથ અને નિઃશુલ્ક એમ્બ્યુલન્સની સેવા અર્પણ કરવામાં આવે છે. સામાજિક સેવાનું શ્રેષ્ઠતમ જીવંત ઉદાહરણ એટલે જય માનવ પરિવાર સેવા ટ્રસ્ટ.
જય માનવ પરિવાર ટ્રસ્ટએ ખેડા જિલ્લાના નડિયાદ શહેરના ગરીબો માટે તેમજ સેવાકિય પ્રવૃત્તિઓ માટે ખુબ જ અગત્યનું ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ દ્વારા રોજે રોજ મફત ઘરે બેઠા નિ:શુલ્ક ટીફિન સેવા પુરી પાડવામાં આવે છે. વડિલોને પણ ઘરે બેઠા ટિફિન સેવા નિ:શુલ્ક પુરી પાડવામાં આવી રહિ છે, ત્યારે આ એક અગત્યનું અને સેવાકિય કામ છે.
દંડક પંકજ દેસાઇએ જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટને અગાઉ એક એમ્બ્યુલન્સ વિલાસબેનની સ્મૃતિમાં આપવામાં આવી છે અને આ ટ્રસ્ટ દ્વારા નડિયાદ શહેરની સેવા માટે બીજી એક એમ્બ્યુલન્સ વાન પણ અર્પણ કરવામાં આવી છે જેનું લોકાર્પણ આજે મારા હસ્તે કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૪૦૦ જેટલા દર્દિઓની નિ:શુલ્ક સેવા પુરી પાડવામાં આવી છે. નિરાધાર અવસ્થાના વૃધ્ધો માટે ઘરે બેઠા નિ:શુલ્ક ટિફિન સેવા એક ખુબ જ અગત્યની સેવા છે.
આ માટે શહેરીજનો દ્વારા આ પરિવારને દાન આપવામાં આવી રહયું છે. જેનો સદ ઉપયોગ થઇ રહયો છે. હું પણ જાહેર જનતાને અપીલ કરું છું કે, આ સેવાકિય પ્રવૃત્તિમાં તેઓ તેમનો યથાયોગ્ય સહયોગ આપે. હું પણ આ પરિવારને મારા તરફથી રૂા.૨૫,૦૦૦/- આપવાની જાહેરાત કરું છું, તેમ તેઓએ ઉમેર્યું હતું. તેઓએ આ સેવાકિય પ્રવૃત્તિઓ બદલ શહેરીજનો તરફથી મનુભાઇનો આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે ગૌત્તમ બ્રહ્મભટ્ટે સૌને આવકારીને જય માનવ સેવા પરિવારની પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી.
જયારે જય માનવ પરિવારના મનુભાઇએ આ સેવાકિય પ્રવૃત્તિઓમાં સહભાગી થવા બદલ દંડક પંકજ દેસાઇ તથા નામી-અનામી સૌ દાનવીરોનો આભાર વ્યકત કર્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આ પરિવારને દંડક પંકજ દેસાઇ તરફથી દર વર્ષે તા. ૧૯મી જુલાઇના રોજ મફત અન્નદાનની સેવા આપવામાં આવી રહી છે. તે બદલ પણ તેઓનો તેઓએ આભાર વ્યકત કર્યો હતો.