"ચોમાસુ સત્ર" : સરકાર દ્વારા મહત્વના બિલ પસાર કરાવવાની તૈયારી, વિપક્ષ અને ખેડૂતોનો દેખાવો કરવાનો નિર્ણય
કોરોના ગાઈડલાઈન સાથે સોમવારથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સંસદીય સત્રના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી મંત્રી મંડળમાં સમાવેશ કરાયેલા નવા મંત્રીઓની ગૃહ સમક્ષ માહિતી આપશે

કોરોના ગાઈડલાઈન સાથે સોમવારથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સંસદીય સત્રના પ્રથમ દિવસે પ્રધાનમંત્રી મંત્રી મંડળમાં સમાવેશ કરાયેલા નવા મંત્રીઓની ગૃહ સમક્ષ માહિતી આપશે. આ ઉપરાંત ચોમાસુ સત્ર 20 દિવસ ચાલશે, જે 13 ઓગસ્ટના રોજ પૂરું થશે.
જોકે, થોડા દિવસ અગાઉ જ કેંદ્રીય મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે, ત્યારે આ મંત્રી મંડળમાં 15 કેબિનેટ અને 28 રાજ્ય મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં ગુજરાતના 5 મંત્રીઓએ પણ શપથ લીધા હતા, ત્યારે સોમવારથી શરૂ થતાં ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકારે કેટલાક મહત્વના બિલ પસાર કરાવવાની તૈયારી કરી છે. જોકે, આ ચોમાસું સત્ર તોફાની બની રહે તેવી પણ સંભાવના વર્તાઇ રહી છે. વડાપ્રધાનના અધ્યક્ષપદે સર્વપક્ષીય બેઠક બાદ વિપક્ષના નેતાઓની પણ અલગથી એક બેઠક યોજાઈ હતી. 31 બિલ પાસ કરવાની સરકારની તૈયારી છે, ત્યારે વિપક્ષ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારા, કોરોના મહામારીમાં સરકારની કામગીરી, રસીકરણ અભિયાનની કામગીરી સહિતના વિવિધ મુદ્દાઓને લઈ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી ચૂકી છે. વિપક્ષે ખાસ કરીને કોંગ્રેસ ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ સોદા અંગે ફ્રાન્સમાં શરૂ થયેલી તપાસનો મુદ્દો પણ ઊછાળશે. નવા કૃષિ કાયદા મુદ્દે આંદોલન કરી રહેલા ખેડૂતોએ પણ સંસદના સત્ર દરમ્યાન સંસદ બહાર દેખાવો કરવાનો નિર્ણય કર્યો છે.