Connect Gujarat
ગુજરાત

"રેડ એલર્ટ" : ભરૂચ, છોટાઉદેપુર સહિત દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મહેસૂલ મંત્રીએ માહિતી આપી

રેડ એલર્ટ : ભરૂચ, છોટાઉદેપુર સહિત દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, મહેસૂલ મંત્રીએ માહિતી આપી
X

સમગ્ર રાજ્યમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ SEOC-ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લા સહિતના દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલ ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ વરસાદવાળા જિલ્લામાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની કુલ ૧૮-૧૮ ટીમો તહેનાત કરવામાં આવી છે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અનુસાર આ ટીમો સત્વરે પહોંચી પોતાની કામગીરી કરી રહી છે.

રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે, તેમ જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિવસ દરમિયાન સતત સમીક્ષા કરીને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન આપી રહ્યાં છે. આ ઉપરાંત મંત્રી મંડળના સભ્યો પોતાના વિસ્તારના વહીવટી તંત્ર અને નાગરિકો સાથે સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. વહીવટી તંત્ર દ્વારા આણંદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર, છોટાઉદેપુર, તાપી,નવસારી, વલસાડ, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી કુલ ૧૦,૬૭૪ નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. જેમાંથી ૬,૮૫૩ નાગરિકો સ્વગૃહે પરત ફર્યા છે, જ્યારે અંદાજે ૩,૮૨૧ આશ્રય સ્થાનમાં આશ્રય લઇ રહ્યા છે. આશ્રય સ્થાન ઉપર વહીવટી તંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં ભોજન-પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વધુ વરસાદવાળા પાંચ જિલ્લામાંથી અત્યાર સુધીમાં અંદાજે ૫૦૮ નાગરિકોના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

તા. 1 જૂનથી અત્યાર સુધી કુલ 25 મકાનો અને 11 ઝૂંપડાઓને નુકસાન થયું છે. રાજ્યમાં તારીખ 1 જૂનથી અત્યાર સુધી કુલ 63 માનવ મૃત્યુ થયા છે, જેમાં સૌથી વધુ 33 વીજળી પડવાથી, 8 દિવાલ પડવાથી, 16 પાણીમાં ડૂબવાથી, 5 ઝાડ પડવાથી અને એક માનવ મૃત્યુ વીજળીનો થાંભલો પડી જવાથી થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૨૭૨ પશુઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં વધુ વરસાદથી જાનહાની ન થાય અને નાગરિકોના જીવ ન જોખમાય તે માટે તંત્ર દ્વારા કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવતા હોય છે, આવી સ્થિતિએ વાહન ચાલકો મનમાની ન કરે અને તંત્રને સાથ સહકાર આપે તેવી મહેસુલ મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી.

Next Story