સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મહિયલ-વકતાપુર રોડ પરથી બિનવારસી બાળક મળી ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે તલોદ તાલુકા સહિત આસપાસના લોકોએ નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ફિટકાર વરસાવ્યો હતો. મળતી માહિતી અનુસાર, તલોદ તાલુકાના મહિયલ-વકતાપુર રોડ પરથી બિનવારસી બાળક મળી આવ્યું હતું, ત્યારે બાળકને સારવાર અર્થે તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.
બનાવની વાત કરીએ તો, અરવિંદસિંહ ચૌહાણ તથા રણજીતસિંહ ઝાલાએ તલોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભગવતસિંહ ઝાલાને ફોન કરી આ મામલાની જાણ કરી હતી, ત્યારે ભગવતસિંહ ઝાલાએ સ્થળ પર જઈ આ બાળકને તાત્કાલિક તલોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું હતું. આ ઉપરાંત જ્યાં સુધી બાળકના વાલી વારસાની જાણ નહીં થાય ત્યાં સુધી બાળકની સાર સંભાળ તેમના પરિવાર વતી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જોકે, નિષ્ઠુર જનેતા વિરુદ્ધ તાલુકા સહિતના લોકોએ ફિટકાર વરસાવ્યો હતો.