સુરેન્દ્રનગર : આવળ, બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે ઓળખાતા જીલ્લામાં ખેડૂતે કરી દ્રાક્ષની ખેતી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના ખેડૂતે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર દ્રાક્ષની સફળ ખેતી કરી બતાવી છે

New Update
સુરેન્દ્રનગર : આવળ, બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે ઓળખાતા જીલ્લામાં ખેડૂતે કરી દ્રાક્ષની ખેતી

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના ખેડૂતે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર દ્રાક્ષની સફળ ખેતી કરી બતાવી છે, ત્યારે આ પ્રગતિશીલ ખેડૂતે અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે.

સુરેન્દ્રનગર જિલ્લો અગાઉ આવળ, બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે ઓળખાતો હતો. એટલે કે, જિલ્લામાં મોટાભાગે પરંપરાગત કપાસ, જીરૂ, ઘઉં જેવા પાકનું જ વાવેતર કરવામાં આવતું હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી ખેડૂતો પરંપરાગત વાવેતરને છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે, ત્યારે વડોદ ગામના શાંતિલાલ પટેલે 2 એકર જમીનમાં દ્રાક્ષનું સફળ વાવેતર કર્યું છે. આમ તો દ્રાક્ષ સામાન્ય રીતે મહારાષ્ટ્રના નાસિક, ધુલીયા જેવા સ્થળોમાં વધુ થાય છે, ત્યારે શાંતિલાલ દાડમના વેચાણ માટે પાંચેક વર્ષ અગાઉ નાસિક ગયા હતા. તે સમયે તેમને દ્રાક્ષના માંડવા જોઇ દ્રાક્ષનું વાવેતર કરવાનો વિચાર આવ્યો હતો.

શાંતિલાલ પટેલે 2 એકર જમીનમાં કુલ 1800થી વધુ રોપાનું વાવેતર કર્યું હતું . જેમાં વાવેતર, લોખંડના સ્ટ્રક્ચર સહીતનો કુલ રૂપિયા 13 લાખથી વધુનો ખર્ચ કર્યો હતો. દ્રાક્ષના માંડવામાં 3 વર્ષ બાદ ઉતારો આવવાની શરૂઆત થાય છે. જેમાં ગયા વર્ષે શાંતિલાલને અંદાજે 4 ટન દ્રાક્ષનો ઉતારો આવ્યો હતો, જ્યારે આ વર્ષે 12 ટનથી વધુ દ્રાક્ષનો ઉતારો આવે તેવો અંદાજ છે. બજારમાં હાલ દ્રાક્ષ 80 રૂપિયે કિલોએ વેચાઈ રહી છે. જેના આધારે ખેડૂતને રૂપિયા 10 લાખથી વધુની આવક થાય તેવો અંદાજ છે. આમ તો દ્રાક્ષની ખેતી થોડી ખર્ચાળ અને મહેનત માંગી લે છે. પરંતુ ખેડૂતોને લાંબા ગાળે ફાયદો થાય છે. કારણ કે, દ્રાક્ષનું એકવાર વાવેતર કર્યા બાદ 20 વર્ષ સુધી દ્રાક્ષનો ઉતારો આવે છે. જેથી લાંબા ગાળે ખેડૂતોને ફાયદો થાય છે. શાંતિલાલ પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં દ્રાક્ષનું સફળ વાવેતર કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ ખેતી કરી નવી રાહ ચીંધી છે.

Latest Stories