વલસાડ : શ્રમયોગી કલ્યાણ બોર્ડ સાથે સંકળાયેલ શ્રમિકો માટે ઓનલાઈન સુવિધા શરૂ..
શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવા માટે સરકાર દ્વારા ઈ-નિર્માણ પોર્ટલ અંતર્ગત નોંધણી કરવાનો આરંભ કરવામાં આવ્યો છે
રાજ્યમાં બાંધકામ શ્રમયોગી કામદારોના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવા માટે સરકાર દ્વારા ઈ-નિર્માણ પોર્ટલ અંતર્ગત નોંધણી કરવાનો આરંભ કરવામાં આવ્યો છે. જેમાં બાંધકામ સાથે જોડાયેલા શ્રમિકોએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ઉપર જરૂરી આધાર પુરાવાઓ લઈને નોંધણી કરાવી શકશે અને ભવિષ્યમાં પણ આ હેઠળ આવનાર યોજનાઓ માટે રજીસ્ટ્રેશન ઓનલાઈન થશે.
વલસાડ જિલ્લાના દરેક તાલુકાઓમાં કોમન સર્વિસ સેન્ટર ખાતે ઈ-નિર્માણ પોર્ટલ હેઠળ બાંધકામ સાથે કામ કરતા કડીયાકામ, પ્લમ્બર, ઈલેક્ટ્રિશિયન, બાંકામમાં છુટક મજુરી કરનાર વગેરે નોંધણી કરાવી શકે છે. આ નોંધણી માટે પરિવારના તમામ સભ્યના આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક પાસબુકની નકલ, ચૂંટણી કાર્ડ તેમજ શ્રમિકે ૯૦ દિવસથી વધુ સમય સુધી બાંધકામમાં કામ કર્યું હોય તેના પુરાવાઓ જોડવાના રહેશે. આ તમામ પુરાવાઓ રજૂ કર્યા બાદ નોંધણી કરનારા શ્રમિકોને ટુંક સમયમાં કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ પરથી બાંધકામ શ્રમિકોને વિવિધ યોજનાઓ જેવી કે, શિક્ષણ સહાય, પ્રસુતિ સહાય, મુખ્યમંત્રી ભાગ્યલક્ષી બોન્ડ યોજના, ધન્વન્તરી આરોગ્ય રથ, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, અંત્યેષ્ઠિ સહાય, શ્રમિક પરિવહન, હાઉસિંગ સબસીડી યોજના, બેટરી ઓપરેટ ટુ વ્હીલર યોજનાનો લાભ આપવામાં આવશે, એમ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, વલસાડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.