/connect-gujarat/media/media_files/2025/06/12/HxoLYXDlyghnwlWvgiU0.jpg)
fire air
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે કે, "એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ.
આ સમયે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારી સંવેદના અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને ઘાયલ થયા છે."
આ ઉપરાંત, ટાટા સન્સ દ્વારા વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટમાં વળતરની જાહેરાત કરતા લખ્યું છે કે, "ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડની સહાય પૂરી પાડશે. અમે ઘાયલોનો તબીબી ખર્ચ પણ સહન કરીશું અને ખાતરી કરીશું કે તેમને જરૂરી તમામ સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલના હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ."
અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે ANI સાથે વાત કરતા જણાવ્યું છે કે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનની સીટ 11A માંથી એક વ્યક્તિ જીવિત મળી આવી છે. આ વ્યક્તિની હાલત ગંભીર હોવા છતાં, તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે, અને ડોકટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
અગાઉ, પોલીસ કમિશનર જી.એસ. મલિકને ટાંકીને એવું કહેવામાં આવ્યું હતું કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચી શક્યું નથી. પરંતુ, એએનઆઈ સાથે સાથેની વાતચીતમાં તેમણે પોતાના અગાઉના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. એક વ્યક્તિ હજુ પણ જીવિત છે, તેની સારવાર ચાલી રહી છે."
વિમાનમાં સવાર 242 લોકોમાંથી 169 ભારતીય, 7 પોર્ટુગીઝ, 53 બ્રિટિશ અને એક કેનેડિયન નાગરિક હતા. આ અકસ્માત અમદાવાદના મેઘનાની નગર વિસ્તારમાં થયો હતો, જે એરપોર્ટથી થોડા અંતરે આવેલો છે.