Connect Gujarat
ગુજરાત

સુરત: અબ્રામા રોડ ગોપીન ગામ ખાતે ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી

સુરત: અબ્રામા રોડ ગોપીન ગામ ખાતે ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી
X

ઔદ્યોગીકરણની દોટમાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે, ત્યારે રાસાયણિક ખાતર વિનાની ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલશે, ઉપરાંત પ્રાકૃતિક ખેતી નૈસર્ગિક ખેતીથી તંદુરસ્ત સમાજ અને શક્તિશાળી ભારતનું નિર્માણ થશે’ એમ સુરતના અબ્રામા રોડ ગોપીન ગામ ખાતે આયોજિત સમારોહમાં ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સમયની માંગ હોવાનું જણાવતાં ઉમેર્યું કે, પર્યાવરણના રક્ષણ માટે આપણે ખેડૂત અને ખેતીને સમૃદ્ધ બનાવતી પ્રાચીન નૈસર્ગિક ખેતીને અનિવાર્યપણે અપનાવવી પડશે. ઓર્ગેનિક ખેતીમાં સમાજ અને કુદરતના જતન અને સંવર્ધનની સંકલ્પના સમાયેલી છે. ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’’, ‘જીવો અને જીવવા દો’ ની ભાવનાથી આપણી ભારતીય સંસ્કૃતિ માત્ર વ્યક્તિ માટે નહિ, પણ સર્વ જીવ અને સમષ્ટિના હિતને વરેલી છે.

ગ્લોબલ વોર્મિંગ સામે ઝીંક ઝીલી ‘હેલ્ધી સોસાયટી’ના લક્ષ્યને સાધવા નૈસર્ગિક ખેતી જ ઉપયોગી બની રહેવાની છે, ત્યારે રાજ્ય સરકારનો કૃષિ વિભાગ, કૃષિ યુનિવર્સિટીઓ ઓર્ગેનિક ખેતીનો વ્યાપ વધારવા આ આ અભિયાનમાં સંપૂર્ણ સહયોગ આપશે એમ તેમણે કહ્યું હતું. લોકોના રસોડામાં રસાયણમુકત ખોરાકની પ્રાપ્તિ અને અનેક રોગોમાંથી મુક્તિ સાથે તંદુરસ્ત સમાજનું નિર્માણ તેમજ વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓમાંથી મુક્તિ આપી ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવાના શુભ આશય સાથે સુરત ખાતેથી ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ પ્રયાસને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા. આગામી દિવસોમા સમગ્ર રાજ્યમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની દિશામાં નવી જાગૃત્તિ આવશે એમાં કોઈ બેમત નથી એમ તેમણે ગર્વભેર જણાવ્યું હતું.

કેન્દ્રીય રસાયણ અને ફર્ટીલાઈઝર રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવિયાએ ફેમિલી ફાર્મર અભિયાન દેશના લોકોને રસાયણમુકત ખોરાક આપીને અનેક પ્રકારની બિમારીમાથી મુક્તિ અપાવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આઝાદી પહેલા આપણો દેશ કૃષિ સમૃદ્ધ હતો, દેશની કૃષિ જણસોને વિદેશોમાં નિકાસ થતી હતી. જેના કારણે ભારત દેશ સોનાની ચિડીયા કહેવાતો હતો. આપણા પૂર્વજોએ કરેલી પ્રાકૃતિક ખેતી તરફ પાછાં વળવાનો આ યોગ્ય સમય હોવાનું જણાવી તેમણે ખેતીમાં ખેડૂતો દ્વારા આડેધડ થતાં રાસાયણિક દવાઓ અને ખાતરના ઉપયોગથી માનવીય આરોગ્ય અને પર્યાવરણની વિકટ સમસ્યા ઊભી થઇ છે, જેના એકમાત્ર નિવારણ માટે સજીવ ખેતી અનિવાર્ય હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ www.familyfarmerabhiyaan.com વેબસાઇટનું ડિજીટલી લોન્ચિંગ કર્યું હતું. મુખ્યમંત્રીશ અને મહાનુભાવો દ્વારા પ્રકૃત્તિની સામૂહિક મહાઆરતી કરી કાર્યક્રમના પ્રારંભ કરવામાં આવ્યો હતો. પૂર્વે સુરતના સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલી આગની દુર્ઘટનાના મૃતકોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મુખ્યમંત્રી સહિત મહાનુભાવોનું તુલસીના છોડ અર્પણ કરી સ્વાગત કરાયું હતું.

Next Story