ફાંસીનો દિવસ નજીક! ફાંસી પહેલા નિર્ભયાના દોષિતોને પૂછવામાં આવી આખરી ઈચ્છા
ફાંસીના માંચડે ચડાવતા પહેલા નિર્ભયાના 4 દોષિતોને પૂછવામાં
આવ્યું છે કે તેમની આખરી ઈચ્છા શું છે? તિહાડ જેલમાં બંધ નિર્ભયા કેસના ચારેય
ગુનેગારોને જેલ તંત્રએ નોટિસ આપીને આખરી ઈચ્છા પૂછી છે. તેમને પૂછવામાં આવ્યું છે
કે 1 ફેબ્રુઆરી તેમને
ફાંસીએ લટકાવવાનું નક્કી છે. આ પહેલા તેઓ અંતિમ મુલાકાત કોની સાથે કરવા માગે છે? તેમના નામે કોઈ
મિલકત હોય તો શું તે કોઈના નામે ટ્રાન્સફર કરવા માગે છે? કોઈ ધાર્મિક
પુસ્તક વાંચવા ઈચ્છે છે કે ધર્મગુરૂને બોલાવવા માગે છે?
જો તેમની આવી કોઈ ઈચ્છા હોય તો 1 ફેબ્રુઆરી પહેલા
પૂરી કરવામાં આવે.ચારેયમાંથી એક વિનય નામના દોષિતે જિંદગી ખતમ થઈ જવાના ડરથી
જમવાનું છોડી દીધુ છે, બે દિવસથી તે જમ્યો નથી. બુધવારે જ્યારે તેમને વારંવાર જમવા
માટે કહેવાયું તો તે થોડું જમ્યો હતો. જ્યારે પવન નામના દોષિતે પણ પહેલા કરતા પોતાનો
ખોરાક ઓછો કરી દીધો છે તો મુકેશ અને અક્ષય પર કોઈ જ અસર જોવા નથી મળી.
દોષિતોમાંથી મુકેશ પાસે ફાંસી ટાળવાના
જેટલા કાયદાકીય ઉપચાર હતા તે તમામ અજમાવી ચૂક્યો છે. તેની દયા અરજી પણ રાષ્ટ્રપતિ
રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. હવે બીજા ત્રણ દોષિતો પાસે દયા અરજી દાખલ કરવાની
અને બે દોષિતો પાસે ક્યૂરેટિવ દાખલ કરવાની તક બચી છે. ચારેયને ફાંસી પર લટકાવવાની
નવી તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરાઈ છે. તેમને વહેલી સવારે 6 વાગ્યે ફાંસીના
માંચડે લટકાવી દેવાશે પણ મુકેશ સિવાય બીજા 3 દોષિતોમાંથી કોઈ દયા અરજી કરશે તો આ
મામલો ફરી કેટલાક દિવસ માટે આગળ વધી શકે છે.
ચારેય દોષિતોને તિહાડની જેલ નંબર-3માં અલગ-અલગ સેલમાં રખાયા છે. દરેક
દોષિતના જેલની બહાર બે સિક્યોરિટી ગાર્ડ તૈનાત છે. જેમાંથી એક હિન્દી અને અંગ્રેજી
ભાષાનો જાણકાર તમીલનાડુ સ્પેશિયલ પોલીસ જવાન અને એક તિહાડ જેલ તંત્રનો જવાન હોય
છે.