વડોદરા: કરૂણા અભિયાન હેઠળ ૪૪૫ ઘાયલ પક્ષીઓને મળી સારવાર અને નવું જીવન
મુખ્યમંત્રી પ્રેરિત કરૂણા અભિયાન હેઠળ ઉત્તરાયણના
પતંગ પર્વે, ખાસ કરીને દોરીથી
ઇજાગ્રસ્ત બનેલા ૪૪૫ પંખીઓની કાળજી ભરી સારવાર કરીને એમની જીવન રક્ષા કરવામાં આવી
છે. આ જાણકારી આપતા નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું કે, તા.૧૦મી થી કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં
વન વિભાગને પશુપાલન ખાતા ઉપરાંત સંખ્યાબંધ જીવદયા સંસ્થાઓ અને સેવાભાવી
સ્વયંસેવકોનો સહયોગ અને જિલ્લા પ્રશાસન, વડોદરા મહાનગરપાલિકાનું પીઠબળ મળ્યું છે. જેના પરિણામે ઉત્તરાયણના દિવસે
અને તે પૂર્વેના ત્રણ દિવસ દરમિયાન ઘાયલ પક્ષીઓને બચાવવાની વ્યાપક કામગીરી થઇ શકી
છે.
તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરાયણના દિવસે સવાર અને સાંજના સમયે હવાની ગતિ ઓછી
રહેતા પતંગો ઉડાડવાની કામગીરી ધીમી પડી જેને લીધે કુદરતી સુરક્ષા થઈ છે તો લોકોએ
પણ કરુણા અભિયાનની અપીલને માન આપીને શક્ય હોય ત્યાં સુધી આ સમયે પતંગબાજી ટાળી છે.
મહારાજા એ જણાવ્યું કે, ઘાયલ પક્ષીઓની જીવન રક્ષાના કામમાં લોકભાગીદારીને જોડવા એક વિહંગરથ અભિયાન
હેઠળ ફરતો કરવામાં આવ્યો છે જે દસ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં ફરીને ઘાયલ
પક્ષીઓની સારવાર અને બચાવ માટે શરૂ કરવામાં આવેલા ૩૮ સેન્ટરની જાણકારી આપવાની સાથે
પક્ષીઓની રક્ષા માટે શું કરવું અને શું કરવું ની જાણકારી આપતું સાહિત્ય વિતરણ
કરવાનું કામ કરી રહ્યો છે.
સાંસદ રંજન બહેન ભટ્ટે આજે ભુતડી ઝાંપા પશુ દવાખાના
ખાતે ઘાયલ પક્ષીઓની સારવારની કામગીરી નિહાળી હતી અને મુખ્યમંત્રીના કરૂણા અભિયાનને
સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલા કર્મયોગીને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વન અને
પશુપાલન કર્મીઓ ઉપરાંત આ અભિયાનમાં સહયોગી બનેલી સેવા સંસ્થાઓના જીવદયા સંકલ્પને
બિરદાવ્યો હતો. નિવાસી અધિક કલેકટર દિલીપ પટેલે ઉત્તરાયણના દિવસે આ કામગીરી નિહાળી
હતી અને સહુને બિરદાવ્યા હતા.
મહારાજાએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં કબૂતરો મોટા પ્રમાણમાં રહે છે એટલે
ઘાયલ પક્ષીઓમાં કબૂતરોની સંખ્યા વધુ છે. આ ઉપરાંત પીળી ચાંચ ઢોંક, બગલા, બતક અને પોપટ જેવા પક્ષીઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે. સામાન્ય ઇજા
પામેલા પક્ષીઓને જરૂરી સારવાર આપી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ગંભીર ઇજા
પામેલા અને લાંબી સારવારની જરૂર વાળા પક્ષીઓને સયાજીબાગમાં આવેલા રેસક્યુ સેન્ટર
ખાતે ઇન્ડોર પેશન્ટની જેમ રાખવામાં આવ્યા છે જેમને સાજા કરીને છોડવામાં આવશે.
તેમણે દેવદૂત જેવા પક્ષીઓની જીવન રક્ષાના કામમાં સહયોગી બનનારા સહુને ધન્યવાદ
આપ્યા છે.