Connect Gujarat
દુનિયા

પાકિસ્તાન સિંધ પ્રાંતમાં જન્માષ્ટમીના દિને કૃષ્ણ મંદિરોમાં તોડફોડ બાદ શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ

આ ઘટના મંદિરમાં એક ધાર્મિક સમારોહ દરમિયાન બની, જે જન્માષ્ટમીના તહેવારને ઉજવવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો

પાકિસ્તાન સિંધ પ્રાંતમાં જન્માષ્ટમીના દિને કૃષ્ણ મંદિરોમાં તોડફોડ બાદ શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ
X

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સંઘર જિલ્લાના ખિપ્રોમાં તોફાની તત્વોએ જન્માષ્ટમી પર કૃષ્ણ મંદિરમાં તોડફોડ કરી. સોમવારે તોફાની તત્વોએ કૃષ્ણની મૂર્તિને તોડી દીધી. આ ઘટના મંદિરમાં એક ધાર્મિક સમારોહ દરમિયાન બની, જે જન્માષ્ટમીના તહેવારને ઉજવવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં તણાવની સ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર વિસ્તારમાં પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ પણ આરોપીની ધરપકડ નથી થઈ શકી.

આ વાતની જાણકારી પાકિસ્તાની એક્ટિવિસ્ટ વકીલ રાહત ઓસ્ટિને આપી છે. તેમણે એક ટ્વીટના માધ્યમથી જણાવ્યું કે, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક કૃષ્ણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે મંદિરમાં શ્રદ્ધાળુઓ કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એવી અનેક તસવીરો શૅર કરવામાં આવી હતી જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે શ્રદ્ધાળુઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર હુમલાની ઘટના સામાન્ય છે. આ મહિનાની શરૂઆતમાં, લાહોરથી લગભગ 590 કિમી દૂર રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં અસંખ્ય લોકોએ હિન્દુ મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું.

માનવાધિકાર સંગઠન 'મુવમેન્ટ ફોર સોલિડેરિટી એન્ડ પીસ' અનુસાર, પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધુ ખ્રિસ્તી અને હિન્દુ મહિલાઓ કે છોકરીઓનું અપહરણ થાય છે. ત્યારબાદ તેઓ ઇસ્લામિક રીત-રિવાજ મુજબ ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરાવી દેવામાં આવે છે. મોટાભાગના પીડિતાઓની ઉંમર 12 થી 25 વર્ષની વચ્ચે હોય છે.

એક ઓફિશિયલ અનુમાન અનુસાર, 75 લાખ હિન્દુઓ પાકિસ્તાનમાં રહે છે, તેમાંથી મોટાભાગના સિંધ પ્રાંતમાં વસવાટ કરે છે. ભારતે અનેક પ્રસંગોએ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં લઘુમતીઓ અને બિન-ઇસ્લામિક ધાર્મિક માળખાઓ પર હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ગયા વર્ષે પાકિસ્તાનના સિંધમાં માતા રાણી ભાટિયાની મંદિર, ગુરુદ્વારા શ્રી જન્મ સ્થાન, ખૈબર પખ્તૂનખ્વાના કરાકના હિન્દુ મંદિર સહિત અનેક મંદિરો પર હુમલા થયા હતા. પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય છે.

Next Story