Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર GPCB સાથેના વિવાદમાં મંગળવારે સાંજે CM સાથે બેઠકનો ફેરો ફોગટ

અંકલેશ્વર GPCB સાથેના વિવાદમાં મંગળવારે સાંજે CM સાથે બેઠકનો ફેરો ફોગટ
X

અંકલેશ્વરમાં ભુતિયા જોડાણોની તપાસ બાબતે ઉદ્યોગપતિઓ અને જીપીસીબી વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહમાં ઉદ્યોગપતિઓ મંગળવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીની ડેલીએ હાથ દઇ પાછા ફર્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. ઉદ્યોગોના પ્રતિનિધિ મંડળને મુખ્યમંત્રીએ મંગળવારે સાંજે ૫ વાગ્યે મળવાનો સમય આપ્યો હતો પણ તેઓ ન મળતાં ઉદ્યોગકારોને આખરે પર્યાવરણમંત્રીને રજૂઆત કરી સંતોષ માણવો પડયો હતો.

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અંકલેશ્વરમાં ભુતિયા જોડાણો શોધવાની કામગીરી વેગવંતી બનાવી દેવામાં આવી છે. જીપીસીબીના ખોદકામને કારણે રસ્તા તથા માળખાને નુકશાન થતું હોવાના આાક્ષેપ સાથે ઉદ્યોગપતિઓએ ગત સપ્તાહે જીપીસીબીની કામગીરી અટકાવી દીધી હતી. ઉદ્યોગકારોએ આંદોલનની ચીમકી આપી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

મંગળવારે ઉદ્યોગોનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલી સાંજના પાંચ વાગ્યાની મુલાકાતના સમયે ગાંધીનગર પહોંચ્યું હતું પણ કોઇ કારણોસર તેઓ મળી શકયા ન હતાં. આખરે તેમણે પર્યાવરણમંત્રી જયદ્રથસિંહ પરમારને રજૂઆત કરી હતી. જીપીસીબી કામગીરી પર ઉદ્યોગકારોએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે, હાઇકોર્ટમાં ઉદ્યોગકારોની ખોટી રજૂઆત કરવામાં આવી છે. જો કે તમામ બાબતો ધ્યાનથી સાંભળ્યા બાદ હાઇકોર્ટ હુકમ આધારે ભૂતિયા કનેક્શન શોધવાની યથાવત રહેશે તેવા સ્પષ્ટ દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા. તમામ વિભાગનું સંકલન કરી એકજ જવાબ રજુ થાય તેમાં સમસ્યાનો હલ નીકળે તેવું નક્કી કરવામાં આવ્યું હતું. એનસીટી ૪૦ એમ.એલ.ડી કન્સેન્ટ ઉદ્યોગકારો મળે તે માટે પણ આગામી ૨ દિવસમાં સબંધીત વિભાગો મીટીંગ યોજી નિર્ણય કરવાનો નક્કી કરવામાં આવ્યું છે તેમજ મીટીંગ સાનુકૂળ પ્રતિભાવ મળ્યો હોવાનું એ.આઈ.એ પ્રમુખ મહેશ પટેલએ જણાવ્યું હતું.

Next Story