જુનાગઢ : લોકડાઉનના સમયથી બંધ રહેલું દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે પુનઃ ખૂલ્યું
લોકડાઉનના સમયથી બંધ રહેલું અને સાસણ ગીરમાં આવેલું દેવળિયા પાર્ક પ્રવાસીઓ માટે ગુરુવારથી પુનઃ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે પ્રવાસીઓએ સરકારની માર્ગદર્શિકાના પાલન સાથે સિંહ દર્શન કર્યા હતા.
અનલોક-5 લાગુ થતાની સાથે જ આજથી સૌરાષ્ટ્રના અનેક પ્રાણી ઉદ્યાનો અનલોક થઈ ગયા છે. સાસણ ગીરમાં આવેલું દેવળિયા પાર્ક પણ પ્રવાસીઓ માટે લોકડાઉનના સમયથી બંધ રાખવામાં આવ્યું હતું, ત્યારે ગુરુવારથી દેવળિયા પાર્કમાં પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. જેમાં કોવિડની ગાઈડલાઈન પ્રમાણે પ્રાણી ઉદ્યાનોમાં પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે પ્રવાસીઓને પ્રથમ દિવસે 5 જેટલી જીપસી મારફતે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા. તો આ સાથે જ જુનાગઢમાં આવેલું સક્કરબાગ પણ આજથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
હાલ ગીર અભયારણ્ય, સાસણગીર અને દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટે ઓનલાઇન બુકિંગ શરૂ થઇ ગયું છે. છેલ્લા 7 મહિનાથી દેવળિયા પાર્કમાં સિંહ દર્શન બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે પાર્ક શરૂ થતાં તંત્ર દ્વારા પ્રવાસીઓને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. આ સાથે જ પાર્કમાં બેંચ પર મુસાફરોને બેસવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. ઉપરાંત દેવળિયા સફારી પાર્કમાં 60 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નીચેના બાળકોને પ્રવેશ આપવામાં નહીં આવે, ત્યારે દેવળિયા સફારી પાર્ક પુનઃ શરૂ થતાં પ્રવાસીઓએ સરકારની માર્ગદર્શિકાના પાલન સાથે સિંહ દર્શન કર્યા હતા.