Connect Gujarat
દેશ

નારાજ NDAના સાથી પક્ષોને મનાવવા BJPએ બનાવ્યો આવો માસ્ટર પ્લાન

નારાજ NDAના સાથી પક્ષોને મનાવવા BJPએ બનાવ્યો આવો માસ્ટર પ્લાન
X

ભાજપ અધ્યક્ષ અમિત શાહની સહયોગી પાર્ટી શિવસેના અને શિરોમણી અકાલી દળના પ્રમુખો સાથે યોજાયેલી બેઠક બાદ એનડીએમાં સર્જાયેલા વિવાદો પર હાલ તો પૂર્ણ વિરામ મુકાતું નજરે પડે છે. લોકસભાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણી સહિતના મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ નવો જ પ્લાન અપનાવવા જઈ રહી છે.

એનડીએના સાથી પક્ષોએ ભાજપ સાથે એક જોઈંટ કમિટી રચવાનો નિર્ણય લીધો છે, જેથી કરીને તમામ મુદ્દાઓને ઉકેલી શકાય.

તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને મળેલી હારે એનડીએના સહયોગી પક્ષો તેમાં પણ ખાસ કરીને શિવસેના, અકાલી દળ, જેડીયૂ, એલજેપી અને આરએલએસપીને પોતાને વધારે મહત્વ આપવાનો અને નરેન્દ્ર મોદી સરકાર પાસે પોતાની માંગણીઓ સ્વિકારાવવાની તક આપી દીધી છે. આ સહયોગીઓ પોતાની માંગણીઓ પર વધારે મહત્વ ઈચ્છે છે, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાજપ સાથે સંવાદની પ્રક્રિયા અને આવનારી લોકસભાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણીમાં સન્માજનક ભાગીદારીની માંગણી કરી રહ્યાં છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિરોમણી અકાલી દળના પ્રમુખ પ્રકાશ સિંહ બાદલ અને સુખબીર સિંહ બાદલ વચ્ચે ગુરૂવ્વારે ચંડીગઢમાં એક બેઠક યોજાઈ, બંને પક્ષોએ સકારાત્મક ચર્ચા કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જોઈંટ કમિટીમાં ભાજપ અને શિરોમણી અકાલી દળના 3 સભ્યો રહેશ્યે, જે તમામ મુદ્દે બેઠકોની ફાળવણી પર ચર્ચા કરશે. સુખબીર સિંહ બાદલ આ કમિટીના પ્રમુખ રહેશે.

શિરોમણી અકાલી દળે જણાવ્યું હતું કે, આવનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એસએડી વચ્ચે 10-3 (ભાજપને 3 અને એસડીએને 10) બેઠકો ના ફોર્મ્યુલા પર કામ હાથ ધરવામાં આવશે. પરંતુ ભાજપ હજી થોડી વધારે બેઠકોની માંગણી કરી રહી છે. શિરોમણી અકાલી દળની પણ એ જ ફરિયાદ છે કે થોડા દિવસોમાં મોદી સરકાર તરફથી લેવામાં આવેલા નિર્ણયને લઈને તેમની સાથે કોઈ જ ચર્ચા નથી થઈ. શિરોમણી અકાલી દળે કેટલાક નિર્ણયોમાં તેમની અવગણના કરવામાં આવી હોવાની પણ વાત કહી છે. આ તમામ ભેદભાવનો જોઈંટ કમિટીમાં નિવેડો લાવવામાં આવશે.

જ્યારે બીજી તરફ આવી જ એક કમિટી મહારાષ્ટ્રમાં શિવસેના સાથે પહેલાથી જ બનાવવામાં આવી છે. ભાજપને લાગી રહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી રાજ્યમાં કોંગ્રેસ-એનસીપી મળી રહેલા પડકાર બાદ પણ સહયોગ કરવા તૈયાર નથી. અમિત શાહ માતોશ્રી ગયા અને ઉદ્ધવ ઠાકરે સાથે તેમની મુલાકાત થઈ. ભાજપના નેતાએ કહ્યું હતું કે, અમારે ગઠબંધન યથાવત રાખવાની જરૂર છે. જો શિવસેના એકલા હાથે ચૂંટણી લડશે તો તેને જ વધારે નુંકશાન થશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધન અતૂટ રહેશે.

લોકસભાની ચૂંટણીને લઈને બંને પાર્ટીઓ વચ્ચે 50:50ના ફોર્મ્યુલા પર વાતચીત ચાલી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે. ભૂતપૂર્વ સેના પ્રમુખ બાળ ઠાકરેના નિધન બાદ રાજ્યમાં ભાજપ મુખ્ય પાર્ટી તરીકે બહાર આવી છે, જ્યારે શિવસેનાને અનેક વખત નુંકશાન વેઠવું પડ્યું છે. તાજેતરમાં જ પાલઘરની પેટાચૂંટણીમાં શિવસેનાને હાર ખમવાનો વારો આવ્યો હતો.

ભાજપ અને જેડીયુ વચ્ચે આવું જ કોકડું બિહારમાં પણ ગુંચવાયું છે. અહીં રામવિલાસ પાસવાનની એલજેપી અને ઉપેંન્દ્ર કુશવાહાની આરએલએસપીને પણ એ વાતનો ડર સતાવી રહ્યો છે કે, હવે જેડીયૂ પણ એનડીએનો ભાગ બનતા તેમને બેઠકોને લઈને બાંધછોડ કરવી પડી શકે છે. તાજેતરમાં જ ભાજપે બિહારમાં તેના સહયોગી પક્ષો સાથે એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. પોતાના સહયોગીઓને મનાવવા ભાજપ આ પ્રકારના અનેક આયોજન કરતી રહે છે.

Next Story