સિંચાઇ માટેના મર્યાદીત સંશાધનો ધરાવતાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં યુરીયા ખાતરની અછત હોવાની બુમો ઉઠી છે. વહેલી સવારથી ખેડૂતો ખાતર વિક્રેતાઓની દુકાનોની બહાર કતાર લગાવી રહયાં છે.
નેત્રંગ તાલુકામાં યુરીયા ખાતરનો જથ્થો પુરો પાડવામાં તંત્ર નિષ્ફળ રહયું હોવાની ફરિયાદ ઉઠી છે. ચોમાસાની શરૂઆત થઇ ચુકી છે ત્યારે ખેડુતોને ખેતીકામમાં પાણી સાથે ખાતરની જરૂરીયાત ઉભી થઇ છે. નેત્રંગ તાલુકામાં ખાતર વિક્રેતાઓને ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી યુરિયા ખાતર મળતું નહિ હોવાની ફરિયાદ ખેડૂતો કરી રહયાં છે. ખેતરોમાં ખાતર નાખવાના સમયે યુરિયા ખાતર નહીં મળતા ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહયો છે. ખાતર આવવાનું હોવાની જાણ થતાંની સાથે ખેડૂતો પોતાના બધા કામ પડતાં મુકી દુકાનોની બહાર કતાર લગાવી રહયાં છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહી થાકેલા ખેડૂતો કતારમાં ચંપલ મુકી પોતાની જગ્યા રોકતાં હોય તેવા દ્રશ્યો પણ હવે સામાન્ય બની ગયાં છે. કોરોના વાયરસના કપરા સમયમાં પણ ખેડૂતોને પડી રહેલી હાલાકીને તંત્ર સમજે અને વહેલી તકે પુરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવે તે જરૂરી બની ગયું છે.