ભરૂચ : પરિવારથી વિખૂટો પડેલો હરિયાણાનો યુવાન મળી આવ્યો, પરિવારે માન્યો નબીપુર પોલીસનો આભાર...
જિલ્લાની નબીપુર પોલીસે પરિવારથી વિખૂટા પડેલા પરપ્રાંતીય યુવાનનું પરિવાર સાથે મિલન કરાવી માનવતાની મહેક પ્રસરાવી છે
ભરૂચ જિલ્લાની નબીપુર પોલીસે પરિવારથી વિખૂટા પડેલા પરપ્રાંતીય યુવાનનું પરિવાર સાથે મિલન કરાવી માનવતાની મહેક પ્રસરાવી છે, ત્યારે પરિવારે પણ ગુજરાત, ભરૂચ અને નબીપુર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે નેશનલ હાઇવે નં. 48 પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે નબીપુર અને અસુરીયા વચ્ચે રોડની બાજુમાં ખેતરમાં કોઈ અજાણી વ્યક્તિ સૂતેલી હાલતમાં જણાતા પોલીસે નજીક જઇ તપાસ કરતા વ્યક્તિને જગાડી પૂછપરછ કરતા પોતે 36 વર્ષીય અર્પણ નામનો વ્યક્તિ હોવાનું જણાવ્યુ હતું, ત્યારે પોલીસે તેને નબીપુર પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરતા તે હરિયાણા રાજ્યનો હોવાનું અને પોતાના પરિવારથી વિખૂટો પડી ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના ઘરની માહિતી અને ફોન નંબર લઇ તેના પરિવાર સાથે વાત કરી તે માહિતી સાચી હોવાનું માલુમ પડતા તેના પરિવારને નબીપુર પોલીસ મથકે બોલાવી પરિવારજનોને પોતાના ઘરનો દીકરો સુપરત કર્યો હતો. આ અંગે તેના પરિવારજનોએ ગુજરાત રાજ્ય પોલીસ સહિત ભરૂચ પોલીસ તેમજ નબીપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.કે.જાડેજા અને સમસ્ત પોલીસ સ્ટાફનો આભાર માની ગદગદ થઈ ગયા હતા. જોકે, એક સમયે નબીપુર પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.