ભરૂચ : એબીસી ચોકડીથી જંબુસર બાયપાસ ફલાયઓવર સુધી એલિવેટેડ કોરીડોર બનશે

અંદાજે 400 કરોડ રૂપિયાના ખર્ચથી જંબુસર ફલાયઓવરના શેરપુરા ગામ તરફના છેડાથી એબીસી ચોકડી સુધી એલિવેટેડ કોરીડોર બનાવવામાં આવશે.

Update: 2022-01-22 12:36 GMT

ભરૂચની એબીસી ચોકડી અને શ્રવણ ચોકડી પર થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અંદાજે 400 કરોડ રૂપિયાના ખર્ચથી જંબુસર ફલાયઓવરના શેરપુરા ગામ તરફના છેડાથી એબીસી ચોકડી સુધી એલિવેટેડ કોરીડોર બનાવવામાં આવશે. રાજય સરકારે તેના માટે મંજુરી પણ આપી દીધી છે.

દહેજ જીઆઇડીસીમાં આવતાં - જતાં ભારદારી વાહનોના કારણે ભરૂચ શહેરની શ્રવણ ચોકડીએ ટ્રાફિકજામની સમસ્યા વિકટ બની છે. નર્મદા નદી પર બનેલો નર્મદા મૈયા બ્રિજ પણ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયા બાદ એબીસી ચોકડી ખાતે પણ ટ્રાફિક જામ થઇ રહયો છે. અગાઉ રાજય સરકારે શ્રવણ ચોકડી પાસે ફલાયઓવર મંજુર કર્યો હતો પણ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભાજપના આગેવાનો અને ચુંટાયેલા પ્રતિનિધિઓએ ભરૂચ શહેરની ટ્રાફિક સમસ્યા અંગે રાજયના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પુર્ણેશ મોદીને અવગત કરાવ્યાં હતાં.

ભવિષ્યના ટ્રાફિકને ધ્યાનમાં રાખી રાજય સરકારે એબીસી ચોકડી અને શ્રવણ ચોકડી ખાતે ટ્રાફિકની સમસ્યાનો હલ આવે તે રીતે જંબુસર ફલાયઓવરના શેરપુરા તરફના છેડાથી એબીસી સર્કલ સુધી આશરે 400 કરોડ રૂપિ્યાના ખર્ચે 3.5 કીમી લાંબા એલિવેટેડ કોરીડોરને મંજુરી આપી છે. 

Tags:    

Similar News