ભરૂચ: ઝઘડિયા જરોઇ ગામની આધેડ મહિલાનો ખેતરમાંથી મળ્યો મૃતદેહ, હત્યાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
મહિલાના પુત્ર સહિત અન્ય ઇસમોએ સ્થળ પર આવીને જોતા શેરડીના ખેતરમાં આ મહિલા પડેલ હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જરોઇ ગામે રહેતી ૫૫ વર્ષીય સુમિત્રાબેન વસાવા નામની આધેડ મહિલા ગતરોજ પોતાના બકરા ચરાવવા ગઇ હતી. આ મહિલા મોડે સુધી ઘરે પરત નહિ આવતા તેમના પરિવારજનોએ મહિલાની શોધખોળ આરંભી હતી. દરમિયાન રાત્રીના ખબર મળી હતી કે આ મહિલા ઉમરવા ગામની સીમમાં એક ખેતરમાં મૃત હાલતમાં પડેલ છે.
મહિલાના પુત્ર સહિત અન્ય ઇસમોએ સ્થળ પર આવીને જોતા શેરડીના ખેતરમાં આ મહિલા પડેલ હતી. આ મહિલાના ગળામાં સાડીનો ટુંપો બાંધેલ હતો અને મહિલાના બન્ને પગના ચંપલ છુટાછવાયા પડેલા હતા. મૃતકના પરિવારજનોએ ઉમલ્લા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતું જે સ્થળેથી મહિલાનો મૃતદેહ મળ્યો તે સ્થળ આમલેથા પોલીસની હદમાં હોઇ મહિલાના મોત બદલ મૃત મહિલાના પુત્રએ આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે હાલ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે