ભરૂચ : પક્ષ અને વિપક્ષ વચ્ચેની ખેંચતાણમાં ઐતિહાસિક રતન તળાવ વિકાસથી વંચિત..!

ઐતિહાસીક રતન તળાવનો હેરીટેઝમાં થયો સમાવેશ રતન તળાવના શુદ્ધિકરણ માટે કરોડોની ગ્રાન્ટ મંજૂર ઐતિહાસિક તળાવની યોગ્ય સફાઈ થાય તેવી માંગ

Update: 2022-05-24 12:14 GMT

ભરૂચ શહેરના રતન તળાવના શુદ્ધિકરણ માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ છે. જોકે, આ ગ્રાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરી રતન તળાવનું શુદ્ધિકરણ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉચ્ચારી છે.

રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતગર્ત તળાવોને ખોદી ઊંડા કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે ઐતિહાસિક તળાવો છે તેને જ વિકસિત કરવામાં રાજ્ય સરકાર ઉણી ઉતરી છે, ત્યારે ભરૂચ શહેરમાં આવેલા ઐતિહાસીક રતન તળાવનો હેરીટેઝમાં સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં તંત્ર દ્વારા તેના વિકાસની માત્ર વાતો જ થતી હોય છે, ત્યારે હાલ તો તંત્ર રતન તળાવનું શુદ્ધિકરણ કરાવવા સાથે તેના નિવાસી એવા કાચબાઓના સંવર્ધન માટેના ખરા પ્રયાસો કરે તો સાચા અર્થમાં સરકારની સુજલામ સુફલામ યોજના સફળ થશે તેવું સ્થાનિકો સહિત નગરપાલિકાના વિપક્ષના નેતાએ જણાવ્યુ હતું.

હાલ તો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, નગરપાલિકા દ્વારા કોઈ બિલ્ડરને રતન તળાવનું પુરાણ કરી વેચી દેવાનો કારસો રચવામાં આવી રહ્યો છે. જેના કારણે રતન તળાવ બાબતે પાલિકા સતાધીશો તળાવની સફાઈ સહિતની કામગીરી કરવામાં ધ્યાન નથી આપી રહ્યા. જોકે, આવા આક્ષેપ સામે પાલિકા પ્રમુખે વિપક્ષને પ્રતિઉત્તર આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2016 -17માં નગરપાલિકા દ્વારા રતન તળાવની પ્રોટેક્શન વોલ સહિતની કામગીરી કરવામાં આવી છે, અને આવનારા દિવસોમાં પણ સરકારની ગ્રાન્ટ મેળવી તળાવને સુશોભિત કરવા સહિતના કામો હાથ ધરવામાં આવશે, ત્યારે હાલ તો પાલિકાના સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેની ખેંચતાણમાં રતન તળાવ વિકાસથી વંચિત રહી જવા પામ્યું છે.

Tags:    

Similar News