ભરૂચ: નર્મદામૈયા બ્રીજ પર આજથી ભારે વાહનો માટે પ્રતિબંધની અમલવારી, જોકે અનેક ભારે વાહનો દોડતા જોવા મળ્યા

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી.

Update: 2022-05-26 08:35 GMT

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોને પ્રવેશ નહિ હોવા છતાં બેરોકટોક રમફાટ પસાર થતા એક વર્ષની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. જેને લઈ તંત્ર દ્વારા 26 મે થી તમામ ભારે વાહનો ઉપર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેની અમલવારી આજથી શરૂ થઈ ગઈ હોવા છતા આજે પણ અનેક ભારે વાહનો દોડતા જોવા મળ્યા હતા

ભરૂચની નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજને સમાંતર ફોરલેન નર્મદા મૈયા બ્રિજનું ગત વર્ષે અષાઢી બીજથી લોકાર્પણ કરાયું હતું. હજી બ્રિજ કાર્યરત થયાને એક વર્ષ પણ થયો નથી ત્યાં 450 કરોડથી વધુના ખર્ચે બનેલા બ્રિજ ઉપર ભારે વાહનોના લીધે અકસ્માતોની વણઝાર સર્જાઈ ગઈ હતી.

નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો ટાળવા ધારાસભ્ય દુષ્યંત પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના કેબિનેટ મંત્રી પૂર્ણૅશ મોદીને રજુઆત કરી હતી. નર્મદા મૈયા બ્રિજ ઉપર જે ભારે વાહનો જતા હતા અને અકસ્માતો સર્જાતા હતા જેને ધ્યાને લઈ ભરુચ વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી તારીખ 26 મેથી નર્મદા મૈયા બ્રિજ પર એસ.ટી.બસ સહિતના ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો જેની અમલવારી આજથી શરૂ થઈ ગઈ છે જો કે તેમ છતા આજે અનેક ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી દોડતા નજરે ચઢ્યા હતા

Tags:    

Similar News