અમરેલી : ભરઉનાળે ખાબકેલા કમોસમી વરસાદથી ખેતીને વ્યાપક નુકશાન, જગતના તાતની માઠી દશા

અમરેલી જીલ્લામાં ભરઉનાળે ધોમધખતા તાપમાં ખાબકેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપકપણે નુકશાની થઈ છે.

Update: 2022-05-04 15:25 GMT

અમરેલી જીલ્લામાં ભરઉનાળે ધોમધખતા તાપમાં ખાબકેલા કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપકપણે નુકશાની થઈ છે.ડુંગળી, બાજરી અને તલના પાક પકવતા ખેડૂતોને મોમાં આવેલો કોળિયો વરસાદે છીનવ્યો છે. ગતરોજ ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેતરો પાણીથી તરબતર થતાં ખેતીનો નાશ બોલી ગયો છે.

ખાંભા ગીરના સરકડીયા અને ભાવરડી સહિતના ગામડાઓમાં ખેતીના ઉભા પાકનો નાશ થયો છે. ઉપરાંત ખેડૂતો યાર્ડ સુધી ડુંગળીઓ પહોંચતી કરે તે પહેલાં વરસાદ વેરી બનતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના માથે હજુ તાઉતે વાવાઝોડાની કળ વળી નથી, ત્યાં ગતરોજના ભારે વરસાદે ખેડૂતોના મોમાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો છે.

અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં વરસેલા કમોસમી વરસાદના કારણે 10-12 વિઘાની વાડીમાં 8 લાખ રૂપિયાની ડુંગળીઓ પાણીમાં ખરાબ થઈ ગઈ હતી, ત્યારે હવે કમોસમી વરસાદથી પાયમાલ થયેલા જગતના તાતને સરકાર ઉગારે તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે.

Tags:    

Similar News