ભરૂચ : રાજપારડીમાં વીજકરંટ લાગવાથી શ્રમજીવી યુવાનનું મોત

Update: 2021-06-24 11:35 GMT

ઝઘડીયા તાલુકાના રાજપારડીમાં હાર્ડવેરની દુકાનમાં કામ કરતાં યુવાનનું વીજકરંટ લાગવાના કારણે મોત થયું છે. પાણીની મોટરમાં કરંટ ઉતરતો હોવાની વાતથી અજાણ યુવાન મોટરને અડી જતાં તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તબકકે જણાયું છે.

રાજપારડી ગામના કાલિયાપુરા વિસ્તારમાં હાર્ડવેરની દુકાનમાં રાજપારડી નજીકના માલીપીપર ગામે રહેતો બાબર વસાવા ગઇકાલે સફાઈના કામે આવ્યો હતો. દુકાનમાં સફાઇ કર્યા બાદ તે બાજુમાં આવેલાં સ્ટોરરૂમમાં સફાઇ માટે ગયો હતો. આ દરમિયાન દુકાનમાં કામ કરતો કામીલ સિંધી બાબર વસાવાને જોવા માટે સ્ટોરરૂમમાં ગયો હતો. જયાં બાબર વસાવા પાણીની મોટર પાસે નિશ્ચેતન હાલતમાં પડયો હતો.

મોટરના વાલ્વમાંથી પાણી લીકેજ થતું હોવાથી સ્ટોર રૂમમાં પાણીનો ભરાવો થયો હતો. પાણીની મોટરમાં કરંટ ઉતરતો હોવાની વાતથી બાબર વસાવા અજાણ હતો અને સફાઇ કરતી વેળા મોટરને અડી જતાં તેને કરંટ લાગ્યો હોવાનું અનુમાન લગાવાય રહયું છે. બનાવ અંગે કામીલ સિંધીએ રાજપારડી પોલીસને જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News