ગાંધીનગર : ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના "સરકાર આપના દ્વાર" ફરીથી શરૂ કરાશે...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કેન્દ્રીય નેતાઓની અવરજવર રાજ્યમાં વધી રહી છે.

Update: 2022-04-20 09:03 GMT

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કેન્દ્રીય નેતાઓની અવરજવર રાજ્યમાં વધી રહી છે. ભાજપ દ્વારા ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એક પછી એક કાર્યક્રમ ગોઠવાય રહ્યાં છે. આ જોતાં રાજ્યમાં ચૂંટણી વહેલી યોજાવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તો બીજી તરફ રાજ્ય સરકારે પણ ગામડાના નાગરીકોના મત મેળવવા માટે વિવિધ યોજનાનું મોનિટરિંગ કરીને તેના લાભો લોકો સુધી પહોંચાડવા અધિકારીઓને દોડાવવાનું શરૂ કર્યું છે.

ભાજપ સરકારની જ મહત્વાકાંક્ષી યોજના સરકાર આપના દ્વારને ફરીથી બેઠી કરી સરકારની વિવિધ યોજનાઓ ઘરે-ઘરે પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે અલગ અલગ વિભાગોની 24 જેટલી વિવિધ યોજનાઓનું એક અલગ લિસ્ટ બનાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને રેવન્યુ કૃષિ આરોગ્ય નાગરિક પુરવઠા અને સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ યોજનાનો લાભ ગ્રામ્ય વિસ્તારમાં મળી રહે તે માટે સરકારના ઉચ્ચ અધિકારીઓ પોતાની ટીમ સાથે ઘરે ઘરે જઈ યોજનાથી વંચિત નાગરિકોનો સર્વે કરશે. એટલું જ નહીં, આ કામગીરી માત્ર 5 દિવસમાં જ પૂર્ણ કરવાનો ટાર્ગેટ પણ વહીવટી તંત્રને આપી દેવામાં આવ્યો છે, અને ત્યારબાદ 1 મે સુધી લાભાર્થીઓને યોજનાનો લાભ પહોંચાડવાનું પણ નક્કી કરી દેવામાં આવ્યું હોવાના અહેવાલ સુત્રો તરફથી મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આયોજનના કારણે રાજ્યની તિજોરી ઉપર અંદાજે 8 કરોડથી વધુનો આર્થિક બોજ સરકારની તિજોરી ઉપર આવી શકે છે.

Tags:    

Similar News