ગુજરાત વિધાનસભા સત્રમાં બીજા અને અંતિમ દિવસે "લમ્પી વાયરસ" મુદ્દે કોંગ્રેસનો હોબાળો...
ગઈકાલે વિધાનસભાના પ્રથમ દિવસે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વેલમાં ધસી આવ્યા હતા.
આજે ગુજરાત વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ કોંગ્રેસ દ્વારા ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અંતિમ સત્રના પ્રથમ દિવસે પણ કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો.
ગઈકાલે વિધાનસભાના પ્રથમ દિવસે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વેલમાં ધસી આવ્યા હતા. જે બાદ તેઓને જગ્યાએ બેસવા અધ્યક્ષ નિમાબેન આચાર્ય એ ટકોર કર્યા બાદ કેટલા ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, ત્યારે આજે વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ ગૃહમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે લમ્પી વાયરસ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી, જે અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં ન આવતા કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો, અને બાદમાં ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું. ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે કહ્યું હતું કે, સરકાર લમ્પી વાયરસને કંટ્રોલમાં કરવામાં નિષ્ફળ નીવડી છે. પૂરતુ વેક્સિનેશન થયું હોત તો આવી સ્થિતિ ન ઉભી થઈ હોત. મેં ટૂંકી મુદ્દતના પ્રશ્ન દાખલ કર્યો હતો. પશુ પાલન મંત્રીએ આ પ્રશ્નને તાકીદ ગણાવ્યો ન હતો અને રદ્દ કર્યો હતો. સરકાર સર્વે કરાવી વળતર ચૂકવે. તેઓએ જણાવ્યું કે, કચ્છ અને જામનગરમાં લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી. પૂરતી રસી મળી હોત અને પૂરતા પગલાં લીધા હોત તો લમ્પી વાયરસ આટલો ફેલાયો ન હોત. કોંગ્રેસ દ્વારા લમ્પી વાયરસમાં મૃત્યુ પામેલી ગાયના સર્વે કરાવી પશુપાલકોને યોગ્ય રીતે વળતર ચુકવવાની માંગ કરાઈ છે.