વલસાડ : અગ્ર સચિવ અંજુ શર્માના અધ્‍યક્ષસ્‍થાને વાપી ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો

Update: 2021-09-04 12:42 GMT

વલસાડ જિલ્લામાં અનુબંધમ પોર્ટલનો મહત્તમ પ્રચાર-પ્રસાર થાય અને વધુમાં વધુ યુવાઓ-નોકરીદાતાઓની નોંધણી થાય તેના માર્ગદર્શન માટે વાપીના વી.આઇ.એ. હોલ ખાતે શ્રમ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માની અધ્‍યક્ષસ્‍થાને જાગૃતિ સેમિનાર યોજાયો હતો.

અગ્ર સચિવ અંજુ શર્માએ સેમિનારમાં ઉપસ્‍થિત તમામ ઉદ્યોગકારોનો આભાર વ્‍યક્‍ત કરતાં જણાવ્‍યું હતું કે, યુવાઓને નોકરી મળે તે અને ઉદ્યોગકારોને યોગ્‍ય ઉમેદવાર મળે તે માટે અનુબંધમ પોર્ટલ એકબીજાને ખૂબ જ ઉપયોગી બની રહેશે. આ પોર્ટલ ઉપર સ્‍કિલ ધરાવતા ઉમેદવારોને સીધી રીતે પસંદ કરી પોતાની કંપનીમાં નોકરી આપી શકે છે. વાપીની દરેક એકમો આ પોર્ટલ ઉપર રજિસ્‍ટ્રેશન કરી તેમના એકમમાં ભરતી અંગેની માહિતી અપલોડ કરશે તો આ પોર્ટલ વધુ ઉપયોગી બની રહેશે.

કોઇપણ વ્‍યક્‍તિ ખોટી રીતે ફેક આઈડી બનાવી ન શકે તે માટે નોકરીદાતા અને ઉમેદવારોની યોગ્‍ય ચકાસણી કરીને જ પોર્ટલ ઉપર વેલીડેટ કરવામાં આવે છે. પોર્ટલ ઉપર નોકરી ઈચ્‍છુક ઉમેદવારો પોતાના રજીસ્‍ટ્રેશન પોતાનો ઘરે બેઠા કરી શકશે અને કંપનીઓ પોતાની સગવડતા પ્રમાણે તેમના એકમમાં ભરતી અંગેની માહિતી અપલોડ કરી શકશે અને પોતે ઇન્‍ટરવ્‍યૂ ગોઠવી પોતાને જરૂરી લાયકાતવાળા ઉમેદવારો મેળવી શકશે. આ માટે ઔદ્યોગિક એકમો સાથે પરામર્શ કરવામાં આવ્‍યો છે અને તેનો સારો સહયોગ પણ મળ્‍યો છે. કોરોના મહામારી દરમિયાન નોકરી ગુમાવી છે તેમના માટે પણ આ પોર્ટલ લાભદાયી નીવડશે.

ઉમેદવારની નોકરી માટે જરૂરી લાયકાત મેચ થશે એમની વિગત સંબંધિત કંપનીઓ દ્વારા શોર્ટલિસ્‍ટ કરી શકશે, પોર્ટલની શરૂઆતના ૧૫ દિવસમાં જ દશ હજાર જેટલા નોકારીદાતાઓ અને સાંઇઠ હજારની આસપાસ ઉમેદવારની વિગતો આ પોર્ટલ ઉપર આવી ચૂકી છે. અને આવનારા ભવિષ્‍યમાં ગુજરાતના તમામ નોકરીદાતા અને નોકરીવાંચ્‍છુ ઉમેદવારોના નામ આ પોર્ટલ ઉપર ઉપલબ્‍ધ થશે તેવી આશા તેમણે વ્‍યક્‍ત કરી હતી.

Tags:    

Similar News