IPL 2021: ઇંગ્લેન્ડમાં યોજાઈ શકે છે IPLની બાકીની મેચ, સામે આવ્યા આ મોટા સમાચાર

Update: 2021-05-07 04:43 GMT

આઈપીએલની 14 મી સીઝન મોકૂફ રાખવામાં આવી હોવાથી, હવે તે ક્યારે આગળ યોજાશે તે જાણવા માટે દરેક જણ ઉત્સાહિત છે. આવી સ્થિતિમાં, સમાચાર આવી રહ્યા છે કે આ લોકપ્રિય ટૂર્નામેન્ટ ઇંગ્લેંડમાં યોજાવવામાં આવી શકે છે. આઈપીએલની બાકીની 31 મેચ યોજવા માટે ઇંગ્લિશ કાઉન્ટી તરફથી દરખાસ્ત હોવાના સમાચાર છે.

મહત્વનું છે કે, ભારતમાં આઈપીએલની નવી સીઝન 29 મેચ બાદ મુલતવી રાખવામાં આવી હતી. 4 મે મંગળવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની ઇમરજન્સી મીટિંગમાં બીસીસીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હકીકતમાં ટીમ બબલની અંદર ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળ્યા બાદ આઈપીએલની બાકીની મેચોને બોર્ડ દ્વારા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

એક અહેવાલ મુજબ, ઇંગ્લિશ કાઉન્ટીના એક ગ્રુપે આ વર્ષે સપ્ટેમ્બરમાં આઇપીએલ 2021ની બાકીની સીઝનનું આયોજન કરવામાં રસ દાખવ્યો છે. ESPNcricinfo ના અહેવાલ મુજબ, એમસીસી, સર્રે, વોર્વિકશાયર, અને લંકશાયરે ECB ને પત્ર મોકલ્યો છે. આ પત્રમાં, બાકીના મેચો આ વર્ષે સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં યોજવાની યોજના મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ પણ આ વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. ઓગસ્ટથી સપ્ટેમ્બરની વચ્ચે, ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડ સામે તેના ઘરે 5 ટેસ્ટ મેચ રમશે. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ પછી ભારતીય ટીમ પાસે આઈસીસી વર્લ્ડ કપ પહેલા સમય હશે અને તે દરમિયાન આઈપીએલની બાકીની મેચનું આયોજન થઈ શકે.

Tags:    

Similar News