કચ્છ : પીંછીના લસરકે ચિત્રકારે ઊભું કર્યું કૌશાબીનગર, જુઓ જૈન ધર્મના ભગવાન નેમિનાથ-રાજુલનું બારમાસી કેલેન્ડર

Update: 2020-11-30 13:12 GMT

હાલના આધુનિક જમાનામાં પણ કેલેન્ડરમાં છપાતા ચિત્રોનું પણ અનેરું મહત્વ હોય છે, ત્યારે કચ્છ જિલ્લાના ભુજના એક ચિત્રકારે પીંછી અને વિવિધ રંગોની મદદથી વિરહ અને વીતરાગના ચિત્રો રજૂ કરી લોકોના મન મોહી લીધા છે. જેમાં સુંદર ચિત્રના માધ્યમથી લોકો સમક્ષ ભગવાન નેમ-રાજુલની વાત રજૂ કરવાનો અનોખો પ્રયાસ કરાયો છે. ચિત્રકાર નવીન સોનીએ જૈન ધર્મ માટે બારમાસી કેલેન્ડરના 12 ચિત્રો દોર્યા છે. જેમાં 12 ચિત્રોની મદદથી નેમ-રાજુલની વાત રજૂ કરાઈ છે. નાસિક ધર્મતીર્થ ચક્રની ઇચ્છાથી નવીન સોનીએ કૌશાબી તીર્થના ચરિત્રોને પુન: જીવિત કરીને બારમાસના 12 ચિત્રો દોર્યા છે. જેમાં કલ્પનાનો ધોધ દેખાય છે. શાસ્ત્રોમાં ક્યાંય સૌંદર્ય અને શણગારને મહત્વ નથી. પરંતુ આ ચિત્રોમાં કુદરતી આભૂષણો રજૂ થયા છે, જે ખાસ બાબત છે. ચિત્રકારે પીંછીના લસરકે આખું કૌશાબી નગર ઉભું કર્યું છે. જેમાં દરેક ચિત્રમાં સાધનામાં લીન ભગવાન નેમિનાથ નજરે પડે છે.

જોકે આ સુંદર ચિત્ર પાછળની વાર્તાની વાત કરીએ તો, ભગવાન નેમિનાથે સંયમનો માર્ગ નહોતો લીધો. તેઓ રાજકુંવર હતા, ત્યારે જૂનાગઢ રાજુલના ઘરે જાન લઈને ગયા હતા. પરંતુ લગ્નમાં જાનૈયાને જમાડવા પશુઓને રહેંસી નાખવામાં આવ્યા હતા, ત્યારે મરણ ચિચિયારીઓથી વ્યથિત બનેલા નેમિનાથે લગ્ન કરવાના બદલે ગિરનારનો માર્ગ પકડ્યો હતો, ત્યારથી રાજુલના ભાગે વિરહ આવ્યું હતું. જોકે ચિત્રકાર નવિન સોનીએ આ વિરહ કારતકથી લઈને આસો સુધીના કેલેન્ડરમાં ઋતુ પ્રમાણે રજૂ કર્યું છે. જેથી આ કેલેન્ડર માત્ર કેલેન્ડર જ નહિ પરંતુ બોલતું પુસ્તક છે, ત્યારે હવે અગાઉના સમયમાં આ તમામ ચિત્રોને નાસિક ખાતે મુકવામાં આવશે.

Tags:    

Similar News