ભરૂચ : બીટીપી અને એઆઇએમઆઇએમ વચ્ચે ગઠબંધનના એંધાણ, જુઓ રાજકારણના નવા રંગ
ગુજરાતના રાજકારણમાં નવો વળાંક આવી રહ્યો છે. BTP અને AIMIM વચ્ચે ગઠબંધનની રૂપ રેખા તૈયાર કરવા ભરૂચના વાલિયા ખાતે બન્ને સંગઠનના આગેવાનો વચ્ચે આજે બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે ભરૂચની વાલિયા ચોકડી ખાતે AIMIMના આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકારણમાં નવો જ વળાંક આવી રહ્યો છે.રાજસ્થાનની ડુંગરપુર જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે મળી બી.ટી.પી.ને સત્તાથી દૂર રાખતા બી.ટી.પી નારાજ થયું છે અને ભરૂચ તેમજ નર્મદા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે તો હવે હૈદરાબાદની અસુદ્દીન ઓવૈસી ફેમ AIMIM સાથે ગઠબંધની તૈયારી ચાલી રહી છે જેના ભાગરૂપે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના માલજીપૂરા સ્થિત નિવાસ સ્થાને બન્ને સંગઠનના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે. આ પૂર્વે ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે AIMIMના મહારાષ્ટ્ર ના MP ઇમ્તિયાઝ જલીલ અને માજી ધારાસભ્ય વારીશ પઠાણનું બિટીપી તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.