ભરૂચ : સ્થાનિક વાહનચાલકોને ટોલમાંથી મુકિત આપવાની માંગ, જુઓ કોણે આપ્યું આવેદનપત્ર
દેશમાં પહેલી જાન્યુઆરીથી તમામ ટોલનાકા ખાતે ફાસ્ટટેગ ફરજિયાત કરી દેવામાં આવશે ત્યારે ભરૂચના વાહનચાલકોએ પણ મુલદ ટોલ પ્લાઝા ખાતે ટોલ ભરવો પડશે. સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ તંત્ર વાહકોને આવેદનપત્ર આપ્યું છે.
ભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસે આવેલાં ટોલપ્લાઝાને ટ્રાફિકની સમસ્યાને લઇ બંધ કરી દેવાયું હતું પણ નર્મદા નદી પર કેબલ બ્રિજ બની ગયાં બાદ મુલદ નજીક નવું ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યું છે. મુલદ ટોલ પ્લાઝા ખાતે જન આંદોલન બાદ ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવી છે પણ હવે ફરીથી ટોલનો મુદ્દો ગાજી રહયો છે. પહેલી જાન્યુઆરીથી દરેક ટોલ પ્લાઝા ખાતે ફાસ્ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ભરૂચના સ્થાનિક વાહન ચાલકોએ પણ મુલદ ટોલ પ્લાઝા ખાતે ટોલ ભરવો પડશે. ટોલમાંથી માફી બાબતે યુથ કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ મોરચો ખોલ્યો છે. આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો ટોલ માફી તથા શહેરની વિવિધ સમસ્યાઓ અંગે તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું હતું.