ભરૂચ : ખેતરમાં બિયારણ વાવવા હવે નહિ જરૂર પડે હળ કે બળદની, જુઓ શું છે નવો આવિષ્કાર
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મોટાભાગના ખેડુતો ડુંગરાળ વિસ્તારમાં ખેતી થતી હોય છે ત્યારે ખેડુતો હળ અને બળદની મદદ વિના વાવણી કરી શકે તેવા સાધનનો એક યુવાને આવિષ્કાર કર્યો છે…..
ચોમાસાની શરૂઆત થતાંની સાથે તમને ખેતરોમાં બળદોની મદદથી હળ ચલાવતાં ખેડુતો નજરે પડતાં હોય છે. ગરીબ ખેડુતો કે જેમની પાસે બળદ નથી તેઓ પોતાના હાથથી હળ ખેંચતાં હોય છે. આવા ખેડુતો સરળતાથી વાવણી કરી શકે તે માટે નેત્રંગ ખાતે રહેતાં અને ફેબ્રિકેશનનું કારખાનું ધરાવતાં દિવ્યાંગ મિસ્ત્રીએ અનોખી શોધ કરી છે. તેમણે સાયકલ જેવું વાવણી માટેનું મશીન બનાવ્યું છે. આ મશીનને સરળતાથી ગમે ત્યાં લઇ જઇ શકાય છે અને તેને ચલાવવા માટે બળદની જરૂર પડતી નથી. એક મુલાકાતમાં દિવ્યાંગે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારત યોજના અંતર્ગત મે આ મશીનનું નિર્માણ કર્યું છે. તેની કિમંતમાં પણ સસ્તુ હોવાથી નાના સીમાંત આદિવાસી ખેડુતો પણ મશીનનો ઉપયોગ કરી ખેતી કરી આત્મનિર્ભર બની શકશે..