ભરૂચ: શુક્લતીર્થ બસ સ્ટેન્ડ પાસે એસટીમાં ચઢતી વેળાં 3 વિદ્યાર્થીઓના પગમાં ઇજા
બસમાં ચઢવાની કોશિષમાં તે વેળાંએ ત્રણ છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને ઇજાઓ થઇ હતી.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામની નર્મદા હાઇસ્કૂલના બાળકો ભરૂચ-ઝણોર બસમાં ચઢવાની કોશિષમાં હતાં. તે વેળાં ત્રણ છાત્રોના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને ઇજાઓ થઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ તુરંત બસ સ્થળ પર ઉભી કરાવી દેવા સાથે ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.
ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે આવેલી નર્મદા હાઇસ્કૂલમાં આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતાં હોય છે.જેઓ તેમના ગામથી શાળાએ આવવા અને પરત જવા માટે સામાન્યત: એસટી બસનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે શુક્રવારે સાંજના સમયે નર્મદા હાઇસ્કૂલના ધોરણ 9માં અભ્યાસ કરતાં આકાશ ગિરીષ પટેલ તેમજ સુમિત રમેશ માછીપટેલ અને રિંન્કેશ વિનોદ માછીપટેલ નાઓ શાળા છુટ્યાં બાદ પોતાના ગામ જવા માટે ભરૂચ - ઝણોર એસટી બસમાં બેસવાની ફિરાકમાં હતાં.તે વેળાં ધક્કામુક્કીમાં તેઓ પટકાતાં ત્રણેયના પગ બસના ટાયરમાં આવી જતાં તેમને ઇજાઓ થઇ હતી.
ઘટનાને પગલે આસપાસના લોકોએ દોડી આવી બસ અટકાવી દીધી હતી. જોકે, મામલો ગરમાય તે પહેલાં જ બસના ડ્રાઇવરને પોલીસચોકીમાં બેસાડી દેવાયો હતો. બીજી તરફ 108ને જાણ કરતાં આવતાં એમ્બ્યુલન્સે પણ દોડી આવી ત્રણેયને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. બનાવને પગલે નબીપુર પોલીસે ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.