Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઝનોર ગામે આદિવાસી અને માછી સમાજ વચ્ચે ધીંગાણું, એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો...

ગ્રામ પંચાયતની ચૂંટણી પત્યા બાદ ભરૂચ તાલુકાના જનોર ગામે વારંવાર ધીંગાણું સર્જવાની ઘટનાઓ સામે આવી રહી છે,

X

ગ્રામ પંચાયતની ચૂંટણી પત્યા બાદ ભરૂચ તાલુકાના જનોર ગામે વારંવાર ધીંગાણું સર્જવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગત મોડી રાત્રીએ ઈંડાની લારી ઉપર ખાવા અને પૈસા આપવા બાબતે ધીંગાણું સર્જાતા એક યુવકના માથામાં ચપ્પુ વાગી જતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ભરૂચ પોલીસ મથકમાં ફરિયાદી રાજેશ વસાવાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ઝનોર ગામની મુખ્ય ચોકડી ઉપર ઈંડા ખાવા ગયા હતા, ત્યાં સંજય માછીની ઈંડાની લારી પર જઈ 4 નંગ બોઇલ ઈંડાની માંગણી કરતા સંજય માછીએ જાતીય વિષયક ગાળો ભાંડતા વાતાવરણ તંગ બન્યું હતું. જેને જોઈ ભાવેશ માછી સહિતના 6 જેટલા સાગરીતો દ્વારા સ્થળ પર ઘસી આવી રાજેશ વસાવા પર તૂટી પડ્યા હતા. જેમાં લારી પર રહેલું ચપ્પુ ફરિયાદીના માથાના ભાગે મારી દેતા તેને ગંભીર ઈજા પહોચી હતી. ત્યારબાદ લોહીલુહાણા હાલતમાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઝનોર ગામના મહિલા સરપંચ પતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, અવારનવાર આદિવાસી યુવકો ઉપર અત્યાચાર થતો રહે છે. સાથે સાથે રેતી ખનન મુદ્દે પણ મહિલા સરપંચના પતિએ ગંભીર આક્ષેપ કરવા સાથે આગામી દિવસોમાં કલેક્ટર કચેરી સંકુલમાં પરિવાર સાથે આત્મવિલોપન કરવાની ચીમકી આપતા વિવાદ વધુ વકર્યો હતો. તો સામે પક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે, ઈંડાની લારી પર પૈસા આપવા બાબતે આદિવાસી યુવકોએ હુમલો કર્યો હતો. જેમાં ભાવેશ માછીને ઈજા થઈ હોય તેવા આક્ષેપ ફરિયાદમાં કરાયા હતા. સામે પક્ષે પણ 3 આદિવાસી યુવકો સામે મારામારી અને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો સમગ્ર મામલે પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરી હતી.

Next Story