ભરૂચ: દહેજના પાણીયાદરમાં સાસુ અને દિયરના ત્રાસથી પરિણીતાએ શરીરે આગ લગાવી આપઘાતનો કર્યો પ્રયાસ
દહેજ સાસુ અને દિયરના ત્રાસથી મહિલાએ પોતાના શરીરે આગચંપી કરી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો
દહેજના પાણીયાદર ગામના ઊંડા ફળિયામાં વડીલો પારજીત જમીન મુદ્દે સાસુ અને દિયરના ત્રાસથી મહિલાએ પોતાના શરીરે આગચંપી કરી આપઘાત કરવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.
દહેજના પાણીયાદર ગામના ઊંડા ફળિયામાં રહેતી રેશમાબેન ગોહિલના લગ્ન ગત તારીખ 13-5-2013ના રોજ રાજેશ ગોહિલ સાથે થાય છે. જેઓને આઠ વર્ષના લગ્ન જીવનમાં બે સંતાનો સુખ પ્રાપ્ત થયું છે. ગત તારીખ-4-11-21ના રોજ દિવાળીના દિવસે તેઓના પતિ, બાળકો અને સાસુ પાર્વતીબેન ગોહિલ અને સસરા અમરસંગ ગોહિલ સાથે સહ પરિવાર ઘરે હતા તે દરમિયાન રહીયાદ ખાતે રહેતો તેણીનો દિયર મહેશ ગોહિલ તેની પત્ની સાથે આવ્યો હતો અને દિયર અને સાસુએ રેશમાબેન સાથે વડીલો પારજીત જમીનના ભાગ મુદ્દે તકરાર કરી હતી અને સાસુ અને દિયરે ભાભીને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આ બંને તેણીને છેલ્લા બે વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપી અવાર નવાર ઝઘડો કરતા હતા, જે ઝઘડાનું લાગી આવતા પરણિતાએ ઘરમાં રહેલ કેરોસીન પોતાના શરીરે છાંટી આગ લગાવી લીધી હતી ગંભીર રીતે દાઝી ગયેલ મહિલાને પ્રથમ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે દહેજ પોલીસે સાસુ અને દિયર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.