આમોદના કાંકરીયા ગામે આદિવાસીઓનું ધર્મ પરિવર્તન કરાયું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આ કેસની તપાસ ચલાવી રહેલી એસઆઇટી તથા સ્થાનિક પોલીસે જંબુસરના રહીશ પાસેથી 27 લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. ભરૂચ જિલ્લાના આમોદ તથા જંબુસર તાલુકાના ગામડાઓમાં રહેતાં આદિવાસી સમાજના લોકોને પટાવી ફોસલાવી અથવા લાલચ આપી તેમનું ધર્માંતરણ કરાવવાની પ્રવૃતિ કેટલાય વર્ષોથી ચાલી રહી હતી. ઉત્તરપ્રદેશથી ઝડપાયેલાં ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખને વડોદરા ખાતે લાવી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બંનેની પુછપરછ દરમિયાન ભરૂચ જિલ્લામાં ચાલતી ધર્માંતરણની ભેદી પ્રવૃતિ સામે આવી હતી.
આમોદના કાંકરીયા ગામે થયેલાં ધર્મ પરિવર્તન કેસમાં અબ્દુલ્લા ફેફડાવાલા સહિત નવ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉમર ગૌતમ અને સલાઉદ્દીનની પુછપરછમાં ભરૂચ જિલ્લામાં ધર્મ પરિવર્તન માટે એક કરોડ રૂપિયાની માતબર રકમ આપવામાં આવી હોવાનું બહાર આવતાં એસઆઇટી તથા સ્થાનિક પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જંબુસરના રહેવાસી અને અલ- મહમુદ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અજવદ અહમદ ખાનીયા પાસેથી 27 લાખ રૂપિયાની રોકડ રકમ કબજે લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આમોદના કાંકરીયા ગામમાં ધર્મ પરિવર્તન કરનારા લોકો માટે નમાઝ પઢવા માટેનું સ્થળ તથા કબ્રસ્તાન બનાવી આપવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.