ભરૂચ : ડમલાઇ ગામની સીમમાંથી અકીકના પત્થરો ચોરી કરતાં 4 ઈસમો ઝડપાયા, રૂ. 22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાને રાત્રી પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ઝઘડીયા તાલુકાના ડમલાઇ ગામની સીમમાંથી કેટલાક ઇસમો અકીકના પત્થરોની ચોરી કરે છે,
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ડમલાઇ ગામની સીમમાંથી અકીકના પત્થરોની ચોરી કરતી ટોળકીના 4 ઈસમોને ઝઘડીયા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. હાલ તો પોલીસે ચારેય ઇસમો પાસેથી 4 વાહનો સહિત રૂપિયા 22 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ઝઘડીયા તાલુકાના ડમલાઇ ગામની સીમમાંથી અકીકના પત્થરોની ચોરી કરતા 4 ઇસમોને ઝઘડીયા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવાને રાત્રી પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ઝઘડીયા તાલુકાના ડમલાઇ ગામની સીમમાંથી કેટલાક ઇસમો અકીકના પત્થરોની ચોરી કરે છે, ત્યારે પોલીસે બાતમીના આધારે સ્થળ પર જઇને તપાસ કરતા ત્યાં 4 ઇસમો હાજર જણાયા હતા. પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા ત્યાંથી અકીકના પત્થરોની ચોરી થઇ રહી હોવાનું જણાયું હતું.
ઘટના સ્થળ પરથી પોલીસે આ ગુનામાં વપરાયેલ ટ્રેક્ટર, હાઇવા ડમ્પર, જેસીબી, 2 મોટરસાયકલ તેમજ 25 ટન જેટલા અકીકના પત્થરો સહિત કુલ રૂપિયા 22 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી બાબુ વસાવા, રાકેશ જોગી. સુનિલ વસાવા અને અરવિંદ વસાવાની મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ઝઘડીયા તાલુકો ભૌગોલીક દ્રષ્ટિએ ભરૂચ જિલ્લામાં મહત્વનું સ્થાન ધરાવે છે. જોકે, આ તાલુકો વિપુલ ખનીજ સંપતિ ધરાવતો વિસ્તાર હોવાથી અહી ખનીજ માફિયાઓ સક્રિય બન્યા હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે.