ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ પર શિવજીના અતિ પ્રાચીન સ્થળ અને રામેશ્વર મંદિરે કરાશે મહાશિવરાત્રિની ઉજવણી
દશાશ્વમેઘ ઘાટ પર શિવજીના પ્રાચીન સ્થળે શિવરાત્રિની ઉજવણી
જિલ્લા પંચાયત નજીક રામેશ્વર મંદિરે પણ મહાશિવરાત્રી ઉજવણી
ભરૂચવાસીઓને ધાર્મિક વિધિ અને પ્રસાદીનો લાભ લેવા આમંત્રણ
ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ ઉપર નર્મદા નદીના કાંઠે શિવજીનું અતિ પ્રાચીન સ્થળ આવેલું છે, જ્યાં દર મહાશિવરાત્રી પર્વએ ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવે છે. આ સ્થળે શિવલિંગ સ્થાપિત છે, જ્યાં કુંભ ગ્રુપ દ્વારા મહાશિવરાત્રી શિવ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે, અને અહીંયા મહાશિવરાત્રીના દિવસે ભાંગની પ્રસાદી સાથે મહાશિવરાત્રીએ ઉપવાસ કરી રહેલા ભક્તોને ફરાળી પ્રસાદી સહિત મહાપ્રસાદીનું આયોજન કરી દિવસ દરમિયાન મહાપુજા અને શિવજીની આરાધના કરવામાં આવે છે.
તો બીજી તરફ, ભરૂચના પાંચબત્તી નજીક જિલ્લા પંચાયતની બાજુમાં આવેલ રામેશ્વર મંદિરે પણ મહાશિવરાત્રીએ વિશેષ ધાર્મિક આયોજનો કરવામાં આવતા હોય છે. રામેશ્વર મંદિરને વિશે શણગાર કરવા સાથે મહાશિવરાત્રીની સવારથી જ ભાંગની પ્રસાદીનું વિતરણ કરવા સાથે દિવસ દરમિયાન શિવજીની વિશેષ આરતી સમૂહ આરતી મહાપ્રસાદી સહિત ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવે છે,
અને સમગ્ર વિસ્તાર શિવ મઈ બની જતો હોય છે. સમગ્ર રાત્રી દરમિયાન ભાંગની પ્રસાદી તૈયાર કરવા માટે શિવ ભક્તો જોડાઈ જતા હોય છે, અને મહાશિવરાત્રીની સવારથી જ વિનામૂલ્ય ભક્તોને ભાંગની પ્રસાદીનું વિતરણ કરી દિવસ દરમિયાન મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે. મહાશિવરાત્રીના દિવસે સમગ્ર ભરૂચ શિવમય બની જનાર છે, ત્યારે ભરૂચવાસીઓને ધાર્મિક પૂજા અર્ચનાનો લાભ લેવા માટે કુંભ ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.