જુનાગઢ : “હર હર મહાદેવ”ના નાદ સાથે ભક્તિમય વાતાવરણ વચ્ચે મહા શિવરાત્રિના મેળાનો પ્રારંભ
ભવનાથ મંદિર ઉપર ધાર્મિક વિધિથી ધ્વજા રોહણ કરી પારંપરિક અને ભાતીગળ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો
ભારતભરમાંથી આવતાં સાધુ-સંતોથી ઓળખાતો પવિત્ર અને પ્રાચીન પરંપરાથી યોજાતા જુનાગઢના ભવનાથના શિવરાત્રીના મેળાની આજથી શરૂઆત થઈ ગઈ છે. 4 દિવસના મહાશિવરાત્રી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશથી આવતા હોય છે, ત્યારે આગામી 4 દિવસ સુધી ભવનાથ તળેટી ખાતે શિવ ઉપાસકો નાગા સંન્યાસીઓ અને દૂર દૂરથી આવતા ભાવિકોની આ પવિત્ર મેળાની મજા માણશે.
ભવનાથ મંદિર ઉપર ધાર્મિક વિધિથી ધ્વજા રોહણ કરી પારંપરિક અને ભાતીગળ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. અખાડાના મહામંડલેશ્વર હરી ગીરી મહારાજ અને મહામંડલેશ્વરો, ભક્તો, ભવનાથના સાધુ-સંતો જુનાગઢના સત્તાધીશોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિરના હર હર મહાદેવના નાદ સાથે પૂજા અર્ચના કરી વિધિવત ભક્તિમય વાતાવરણ વચ્ચે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
આ પ્રસંગે ભવનાથ મંદિરના મહંત હરી ગીરીબાપુ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના ઇન્દ્રભારતી બાપુ, મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી મહારાજ, ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ મહાદેવ ભારતી બાપુ,મુક્તાનંદ બાપુ, પ્રેમગીરી મહારાજ, કિન્નર અખાડા, મનપા તંત્ર, વહીવટી તંત્ર, શૈલજા દેવી ઉપરાંતના સંતો-મહંતો તથા ધારાસભ્ય મેયર ગીતા પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા સહિતના અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.