Connect Gujarat
શિક્ષણ

ભાવનગર : ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડાયું

ભાવનગર : ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડાયું
X

ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ભૌતિક વિજ્ઞાન/રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિતની પરીક્ષા ભાવનગર જિલ્લામાં આગામી તા. ૦૬/૦૮/૨૦૨૧ના રોજ સવારના ૯:૩૦થી સાંજના ૧૬:૦૫ કલાક દરમ્યાન જુદા-જુદા ત્રણ સેશનમાં યોજાનાર છે.

આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી શ્રી બી.જે.પટેલ, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન જે તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે.

જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર તથા ૧૦૦ મીટરની ત્રીજયામાં ૪ કે, તેથી વધુ માણસોના એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેના ઉપયોગ પર તથા પરિક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

પરીક્ષા કેન્દ્રોમા કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ સુચનાઓનુ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપરાંત જો નવા પરીક્ષા કેન્દ્રો જાહેર થશે તો તેને પણ આ જાહેરનામુ લાગુ પડશે. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે. આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડકોન્સ્ટેબલથી નિચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

Next Story